જામનગર : જામનગરમાં વધુ એક વખત ભયનો માહોલ ઉભો થયો છે. કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલએ જેને પતાવી દેવાની ધમકી આપી હતી એ ટીના પેઢડિયા પર સવારમાં જ ફાયરિંગ થતા સનસનાટી મચી ગઇ છે.
લાલપુર રોડ પર રહેતા ટીનાભાઈ પેઢડીયા આજે સવારે પોતાના ઘરેથી ઇવા પાર્ક ખાતેની પોતાની સાઇટ પર પહોંચ્યા ત્યાં જ અજાણ્યા શખ્સોએ તેની પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી ટીનાભાઈના મોઢાના ભાગે ઘુસી ગઈ હતી. આ બનાવને અંજામ આપી આરોપીઓ નાશી ગયા હતા. આ બનાવના પગલે ઘાયલને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ અજાણ્યા શખ્સોને પકડી પાડવા માટે એલસીબી, એસઓજી અને જિલ્લાભરની પોલીસ નાકાબંધીમાં લાગી ગઈ હતી.
ઘાયલ ટીનાભાઈ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે જયેશ પટેલ દ્વારા વકીલ કિરીટ જોશીની હત્યા કરવામાં આવી હતી ત્યારે જયેશ પટેલે આ ટીનાભાઈને ફોન કરી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી દીધી હતી. આ મનદુઃખને લઈને જયેશ પટેલ દ્વારા ફાયરિંગ કરાવવામાં આવ્યું હોવાની થિયરી ઓર પોલીસ હાલ કામે લાગી છે.