જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં હાલ ખંભાલીયાથી દ્વારકા સુધી ચાલી રહેલ ફોર લેન હાઈવે પ્રોજેક્ટમાં નિયમોનો ઉલાળ્યો કરી લાલિયાવાળી કરવામાં આવી રહી છે. આ કામ કરતી કંપની દ્વારા જે વૈકલ્પિક રસ્તાઓ બનાવવામાં આવ્યા છે તે રસ્તાઓ ઉબડખાબડ હોવાથી દરરોજ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. કપનીની નિયમોને નેવી મૂકી કામ કરતી હોવાની કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

ખંભાલીયાથી દ્વારકા સુધી હાલ ફોર ટ્રેક ધોરીમાર્ગનું કામ ચાલી રહ્યું છે. આ કામ પૂર્વે જમીન સંપાદનથી માંડી કામગીરી શરૂઆત સુધીમાં અનેક વિવાદો સર્જાયા હતા. ખેડુતોને આપવાની વળતર હોય કે તંત્રને સાથે રાખી શરુ કરી દેવાયેલ કામ હોય, કે પછી વિવાદ સમી ગયા બાદ શરુ થયેલ કામગીરી હોય, આ તમામ પ્રક્રિયામાં વિવાદ સર્જાયા જ છે. હાલ કંપની દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી આવી છે. જેમાં અનેક જગ્યાએ ડાયવર્જન કાઢવામાં આવ્યા છે. આ ડાયવર્ઝનમાં લાલીયાવાળી કરવામાં આવતા અકસ્માતની પ્રમાણ વધી રહ્યું છે. જેને લઈને ખંભાળીયા તાલુકા પંચાયંતના સદસ્ય વિપુલ ચાવડાએ આ સંદર્ભે કલેકટરમાં લેખિત રજૂઆત કરી છે. જેમાં નિયમો નેવે મૂકી ડાયવર્ઝન બનાવી દેવાયા છે તે ઉબડખાબડ હોવાથી અકસ્માતનું પ્રમાણ વધી ગયું છે. ડાયવર્ઝન બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય નહિ લેવાય તો વધુ જીવલેણ અકસ્માત થશે, જેને લઈને આ બાબતે તાત્કાલિક ધ્યાન આપવા રજૂઆતના અંતે માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અણ’ઘણ ડાયવર્ઝનને કારણે વડત્રા અને મોવાણ પાટિયા પાસે છેલ્લા એક સપ્તાહમાં બે-ત્રણ અકસ્માત થયા છે.