જામનગર અપડેટ્સ : કોરોનાએ જામનગર શહેર સહિત સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. દિવાળી પૂર્વે કોરોના સંક્રમણની મંદ પડેલ ગતિએ ફરી એ જ રફતાર પકડી લીધી છે. સરકાર અને પ્રસાસન ફરી એજ હિંમતથી જંગમાં જોતરાઈ ગયું છે. પરંતુ કોરોનાના આ કપરા કાળમાં અમુક નાગરિકો તકેદારી લેતા જ નથી. જેના કારણે તમામ શહેરીજનો પર ખતરો તોળાઈ રહ્યો છે. આજે નગરમાં યોજાયેલ શનિવારી ગુજરી બજારના દ્રશ્યો ખરેખર ચિંતાજનક છે. સાથે સાથે પ્રજાની બેડકારીના પણ દર્શન કરાવે છે. જો પ્રત્યેક નાગરિક પોતાની ફરજ નહિ સમજે તો બીજો રાઉન્ડ પણ વ્યાપક ખુવારી નોતરશે એ વાસ્તવિક છે.
કોરોના સામેનો જંગ માત્ર સરકારનો નથી એમ જ્યારે પ્રજા સમજે તો જ શહેર-રાજ્ય અને દેશભરમાંથી કોરોનાનું સંક્રમણ દૂર થઈ શકે. દિવાળી પૂર્વે પલટાયેલા વાતાવરણ વચ્ચે કોરોનાનું સંક્રમણ પણ ઘટ્યું હતું. જેને કારણે સરકારની સાથે રાજ્યભરની જનતામાં રાહત અનુભવાઈ હતી. પરંતુ તહેવારોના સપરમાં દિવસોમાં ફરી કોરોનાએ ફુફાળો મારતા ફરી કોવિડ 19નું ચિત્ર એ જ ગતિએ પ્રસરી રહ્યું છે. જેને લઈને સરકાર હરકતમાં આવી ગઈ છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં રાત્રી કરફ્યૂનો નિર્ણય કરાયો છે. સરકાર અસરકારક પગલાં તો ભરી રહી છે પરંતુ પ્રજામાં જાગૃતિ ન આવી તે ન જ આવી,
વાત જામનગરની કરીએ તો આજે પ્રજાજનોની કોરોના પ્રત્યેની માનસિકતા છતી થઈ ગઈ હતી. આજે ગાંધીનગરમાં ભરાયેલ ગુજરી બજારમાં એવી પ્રજા ઉમટી પડી કે ન સોશ્યલ ડિસ્ટન્સ મેન્ટેઇન થઈ શક્યું કે ન તો માસ્કની માર્ગદર્શિકા યાદ રહી, આજના દ્રશ્યો આવતીકાલનો ચિતાર આપી રહ્યો છે. આવતીકાલનું ચિત્ર ડરામણું જ હશે એમ બે મત નહિ, આવા દ્રશ્યો ફરી ન સર્જાય તે માટે સરકાર તો પગલાં ભરશે જ પણ નાગરિકોની કોઈ જવાબદારી જ નથી. આમ તો કોરોના સામેની લડાઈ ક્યારેય ન જીતી શકાય. પ્રજાએ આવતીકાલનો વિચાર કરી કોરોનાની માર્ગદર્શિકાનુ પાલન કરવું જ જોઈએ નહીંતર આવતી કાલ ખરેખર કાળ રૂપી નીવડશે.