જામનગર : જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ભાવભી ખીજડીયા ગામ નજીક બે કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બેંકના કર્મચારી એવા યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. જયારે તેમના પત્ની ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે, પિતાનું મોત અને માતાને જીવન મરણ વચ્ચે જોલા ખાતી નજરે જોનારા બે માસુમ સંતાનો પૈકી મોટા સંતાને જયારે નાના ભૂલકાને હૈયા ધારણા આપી ત્યારે હોસ્પિટલ પરિસરમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આ અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ, કાલાવડ તાલુકાના ભાવભી ખીજડીયા ગામ પાસે આજે બે કાર વચ્ચે સામસામે ટક્કર થઇ હતી. જેમાં પરિવાર સાથે જામનગરથી જુનાગઢ તરફ જઈ રહેલ કાર સવાર વિજયભાઈ જૈનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જયારે તેમના પત્નીને માથા સહિતના ભાગે ઈજાઓ પહોચતા તાત્કાલિક જામનગર હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવમાં સામેની કારમાં સવાર એક આધેડ અને તેની બે ભાણેજને પણ ઈજાઓ પહોચી હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. જુનાગઢ અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને હોળીના તહેવારની રજાઓ હોવાથી તેનાં મામા તેડીને કાલાવડ તરફ આવતા હોવાની વિગતો જાણવા મળી છે.
બીજી તરફ પિતાના નજર સામે મૃત્યુ અને માતાની ગમ્ભીર હાલત જોઈ તેના બંને માસુમ ભૂલકાઓ હેબતાઈ ગયા હતા. આઠ થી દસ વર્ષીય મોટાભાઈએ તેના પાંચેક વર્ષના નાના ભાઈને જામનગરની હોસ્પિટલમાં હાથનો સાથ આપી જે હૈયારખી આપી તે જોઈને કઠોર હૃદયના માનવીનું હૈયું પણ પીગળી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. હજુતો દુનિયાદારીની પણ સમજ ન આવી ત્યાં પલવારમાં પિતાની છત્ર છાયા ગુમાવી ચૂકેલ બંને ભૂલકા અવાચક થઇ ગયા હતા. હોસ્પિટલમાં માસુમ ભાઈએ તેના જ નાના સહોદરને પેટે હાથ મુકી હૈયારખી આપી, જાણે એમ ન કહેતો હોય કે વ્હાલા કુદરત રૂઠી ગયો છે હું નહી..તું હૈયે હામ રાખ, ભલભલા માણસનું પણ રડાય પીગળી જાય એવા દ્રશ્યો આ બંને માસુમની હાલત જોઈ સામે આવ્યા હતા.