જામનગર : જામનગરની ભાગોળે મોરકંડા રોડ પર આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં પુર ઝડપે દોડતા માલવાહક વાહને પદયાત્રીઓને હદ્ફેતે લેતા ત્રણના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા છે જયારે અન્ય બેને ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં સાંજે એક યુવાનનું મૃત્યુ નીપજતા મૃત્યાક ચાર થયો છે. જામજોધપુર પંથંકના પદયાત્રીઓ મોરબી મચ્છુ માતાના મંદિરે જતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બની ગયા છે.

જામનગરની ભાગોળ આજે સવારે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠી હતી. શહેરની ભાગોળે મોરકંડા રોડ પર ત્યારે અફરાતફરી મચી ગઈ જયારે એક માલવાહક વાહન રોડ પદયાત્રીઓ પર ફરી વળ્યું હતું. ફૂલ ગુલાબી ઠંડીમાં પસાર થતા પદયાત્રીઓ રોડની સાઈડમાં ચાલીને જતા હતા ત્યારે પુર ઝડપે અને બેદરકારી પૂર્વક માલવાહક વાહને પદયાત્રીઓને જોરદાર ઠોકર મારી ગમખ્વાર અકસ્માત નીપ્જાવ્યો હતો જેમાં સ્થળ પર જ ત્રણ પદયાત્રીઓના મૃત્યુ નીપજયા હતા જયારે બે પદયાત્રીઓને ગંભીર ઈજાઓ પહોચી હતી. ધડાકાભેર થયેલ અકસ્માતના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને બચાવકાર્ય શરુ કર્યું હતું.
આ બનાવની જાણ થતા પંચકોશી એ ડીવીજન અને ૧૦૮ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી. ત્રણેય મૃતકોના શરીરના ભાગે વાહનના તોતિંગ ટાયર ફરી વળતા કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. જયારે અન્ય બે ઘાયલોને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલ પદયાત્રીઓ જામજોધપુર પંથકના હોવાનું અને મોરબી પાસે મચ્છુ માતાના દર્શને જતા હોવાનું સામે આવ્યું છે.
જામજોધપુર પંથકના સોનવાડિયા ગામના ભરવાડ પરિવારના પાંચ હતભાગીઓ આજે સવારે ગામડેથી નીકળી મોરબી ખાતે આવેલ મચ્છુ માતાના મંદિરે ચાલીને દર્શન કરવા જતા હતા. ત્યારે અકસ્માતનો ભોગ બની ગયા હતા. જેમાં સ્થળ પર જ કેશા પોલાભાઈ રાડા ઉવ ૧૮, પોલાભાઈ જેઠાભાઈ રાડા ઉવ ૫૦, અને ભોજાભાઈ ગોકળભાઈ ઉવ ૫૦ નામના ત્રણ પદ યાત્રીઓના મૃત્યુ નીપજ્યા છે જયારે અન્ય બેને ઈજા પહોચી હતી. હોસ્પિટલ ખસેડાયેલ બે પૈકી કવાભાઈ પરમારનું મૃત્યુ નીપજતા મૃત્યાંક ચાર થયો છે. આ બનાવના પગલે નાના એવા સોનવડીયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.