જામનગર: તોતિંગ વ્યાજ વસુલી વ્યાજખોર આરોપીઓ અડધો કિલો સોનું પણ ચાઉં કરી ગયા

0
297

જામનગર: શહેરમાં ગેરકાયદે ધીરધાર અને ઊંચા વ્યાજના ધંધા સામે વધુ એક ગંભીર ફરિયાદ સામે આવી છે. વેપાર માટે લીધેલી લોનના બદલામાં લાખો રૂપિયાનું વ્યાજ ચૂકવ્યા છતાં ફરિયાદીના આશરે 620 ગ્રામ સોનાના દાગીના તેમની જાણ બહાર વેચી નાખવા, વધુ રકમની ઉઘરાણી કરવા, ગાળો આપવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપો સાથે બે શખ્સો સામે સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત મની લેન્ડર્સ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાતા વેપારી વર્તુળોમાં પણ ચર્ચા જાગી છે.

ફરિયાદી મુકેશકુમાર પરસોતમભાઈ જ્ઞાનચંદાણી, જે ગ્રેઇન માર્કેટ ખાતે જય ભવાની સેલ્સ એજન્સી નામે વેપાર કરે છે, તેમની ફરિયાદના આધારે ભરતભાઈ નંદા (રણજીતસાગર રોડ, જામનગર) અને રવિરાજસિંહ ગોહીલ (પડાણા ગામ, તાલુકો લાલપુર) સામે કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, વર્ષ 2022 અને 2023 દરમિયાન વેપારની જરૂરિયાતને કારણે ફરિયાદીએ આરોપી ભરતભાઈ નંદા પાસેથી તબક્કાવાર આશરે ₹32 લાખ લીધા હતા. જેના બદલામાં દર મહિને 2થી 5 ટકા વ્યાજના દરે અંદાજે ₹22 લાખ જેટલું વ્યાજ ચૂકવવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરાયો છે કે, મૂળ રકમની સુરક્ષા તરીકે આપવામાં આવેલા ચાર સોનાના બિસ્કિટ, બે સોનાની ચેન અને એક સોનાની હાથની લકી સહિત અંદાજે 620 ગ્રામ સોનાના દાગીના ફરિયાદીની જાણ અને સંમતિ વિના વેચી નાખવામાં આવ્યા હતા. જ્યારે ફરિયાદીએ દાગીના અંગે પૂછપરછ કરી ત્યારે તેમને ગાળો આપી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે.

બીજા આરોપી રવિરાજસિંહ ગોહીલ સામે પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ, ફરિયાદીના ભાઈને ₹4 લાખ માસિક 5 ટકા વ્યાજે આપ્યા હતા અને ત્યારબાદ રોકડ, ગૂગલ પે તેમજ તમાકુ-પાન મસાલાના માલ સ્વરૂપે આશરે ₹4 લાખ જેટલું વ્યાજ વસૂલ્યું હતું. તેમ છતાં હજુ પણ વધુ ઉઘરાણી કરવામાં આવી રહી હતી. ઉપરાંત, ફરિયાદી પાસેથી અંદાજે ₹3 લાખના ફર્નિચરને માત્ર ₹40 હજારની કિંમત ગણાવી કબજે કરી લેવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ નોંધાયો છે. આ સમગ્ર મામલે સીટી ‘બી’ ડિવિઝન પોલીસે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ-2011ની કલમ 5, 39, 40, 42 તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 351(3) અને 352 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: ઉપરોક્ત વિગતો પોલીસ ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો પર આધારિત છે. આરોપો અંગેનો અંતિમ નિર્ણય તપાસ અને કોર્ટની કાર્યવાહી બાદ જ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here