જામનગર અપડેટસ : દેવભૂમિ દ્વારકામાં ક્રાંતીવીર મુળુભા માણેકની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલી બાઇક રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતા પોલીસ સાથે અથડામણ સર્જાઈ હતી. રૂપેણ બંદર નજીક હાઇવે રોડ બ્લોક થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો, જેને લઈ પોલીસે સમજાવટ કરતા મામલો ઉગ્ર બની ગયો હતો. ઘટનામાં પોલીસ પર પથ્થરમારો, ધમકીઓ અને પોલીસ ચોકીમાં તોડફોડ જેવી ગંભીર ઘટનાઓ સામે આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ તા. ૭ મે ૨૦૨૬ના રોજ સાંજે અંદાજે ૭:૫૫ વાગ્યાના અરસામાં દ્વારકા પોલીસ સ્ટેશનથી પશ્ચિમે આશરે ૩ કિમી દૂર આવેલી રૂપેણ બંદર પોલીસ ચોકી પાસે હિન્દુ વાઘેર સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરી અધિકારીઓની સૂચના મુજબ પોલીસ સ્ટાફ કાયદો અને વ્યવસ્થા જાળવવા ફરજ પર હાજર હતો. આ દરમ્યાન કેટલાક યુવાનો દ્વારા હાઇવે રોડ પર વાહનો ઉભા રાખી જાહેર વાહન વ્યવહારમાં અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા વાહનો સાઇડમાં રાખવા સમજાવટ કરવામાં આવતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ પોલીસ કર્મચારીઓને ગાળો બોલી પથ્થરમારો કર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ફરજ પરના પોલીસકર્મીઓને ઇજાઓ પહોંચ્યાનું પણ નોંધાયું છે. ઘટનામાં રૂપેણ બંદર પોલીસ ચોકીના બારી-દરવાજા તોડી નાંખવામાં આવ્યા હતા, જેમાં આશરે રૂ. ૨૨ હજારનું નુકસાન થયાનું પોલીસે નોંધ્યું છે. સાથે જ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા હથિયારબંધીના જાહેરનામાનો પણ ભંગ કરાયો હોવાનું સામે આવ્યું છે.

આ મામલે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે અસ્વીન વાઘા, કાના વાઘા, દેવુ ભીખા કેર, અજય ઉર્ફે જીથરો મકવાણા, રવિ માણેક, અર્જુન સતૈયાભા માણેક, કનૈયાભા ધનાભા માણેક સહિત અન્ય અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની વિવિધ ગંભીર કલમો તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ પો.હેડ કોન્સ્ટેબલ ગિરૂભા રઘુભા જાડેજાએ નોંધાવી છે, જ્યારે સમગ્ર મામલે તપાસ i/c પોલીસ ઇન્સ્પેક્ટર ટી.સી. પટેલ ચલાવી રહ્યા છે.
હાલ આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સમાજમાં ધાર્મિક કે સામાજિક કાર્યક્રમો દરમિયાન શાંતિ અને કાયદાનું પાલન જરૂરી છે. ઉત્સાહ અને આક્રોશ વચ્ચે કાયદો હાથમાં લેવાથી માત્ર જાહેર વ્યવસ્થાને નુકસાન નહીં પરંતુ યુવાનોનું ભવિષ્ય પણ જોખમાય છે. દ્વારકાની આ ઘટના ફરી એકવાર સંયમ અને જવાબદારીનું મહત્વ સમજાવે છે.





