જામનગર: CPWD કચેરીના આસિસ્ટન્ટ એન્જિનિયર 4.52 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

0
335

જામનગર અપડેટ્સ: ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ જામનગરમાં એક મોટું ઓપરેશન પાર પાડીને સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ (CPWD) ના વર્ગ-2 ના અધિકારીને લાખોની લાંચ લેતા દબોચી લીધા છે. આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી કચેરીમાં જ એસીબીએ છટકું ગોઠવીને મદદનીશ ઇજનેર વિજયકુમાર બાબુલાલ મીનાને ₹4,52,000 ની માતબર રકમ સ્વીકારતા ઝડપી પાડતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે.

કોન્ટ્રાક્ટરના બાકી બિલ મંજૂર કરવા માટે ખેલાયો હતો લાંચનો ખેલ

ઘટનાની વિગતો મુજબ, ફરિયાદીના મિત્રને લાખાબાવડ પાસે નિર્માણ પામી રહેલા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને WHO ના સંયુક્ત મેડિસિન રિસર્ચ સેન્ટરમાં ઇલેક્ટ્રિક કામગીરી તેમજ દ્વારકાના મોજપ ખાતે BSF મરીન તાલીમ કેન્દ્રમાં ઇલેક્ટ્રિક ફિટિંગનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ કામ પૂર્ણ થયા બાદ તેના બિલો મંજૂર કરાવવા માટે આરોપી વિજયકુમાર મીનાએ કોન્ટ્રાક્ટર પાસે મસમોટી લાંચની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટર આ ભ્રષ્ટ અધિકારીને નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે જામનગર એસીબીનો સંપર્ક સાધ્યો હતો.

એસીબીનું પૂર્વ આયોજિત છટકું અને ફોન પરની કબૂલાત

તા. 02/04/2026 ના રોજ રાજકોટ એસીબીના મદદનીશ નિયામક જે.ડી. મેવાડાના સુપરવિઝન હેઠળ પીઆઈ આર.એન. વિરાણી અને જામનગર એસીબી સ્ટાફે જાળ બિછાવી હતી. આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સીપીડબ્લ્યુડીની કચેરીમાં જ આરોપીની ચેમ્બરમાં ફરિયાદી પહોંચ્યા હતા. આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી ₹4,52,000 ની રકમ સ્વીકારી હતી. એટલું જ નહીં, રકમ સ્વીકાર્યા બાદ આરોપીએ ફરિયાદીના મિત્ર (કોન્ટ્રાક્ટર) સાથે મોબાઈલ ફોન પર વાત કરી પૈસા મળી ગયા હોવાની કબૂલાત પણ કરી હતી, જે એસીબી માટે મહત્વનો પુરાવો સાબિત થયો છે.એસીબીએ સ્થળ પરથી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે અને વિજયકુમાર મીના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ ઓપરેશન રાજકોટ એકમના નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું.

સમાજને હકારાત્મક સંદેશ આપતી ગુજરાત એસીબી
ભ્રષ્ટાચાર એ વિકાસના માર્ગમાં આવતું સૌથી મોટું વિઘ્ન છે. જ્યારે આપણે અન્યાય સામે અવાજ ઉઠાવીએ છીએ, ત્યારે જ વ્યવસ્થામાં પરિવર્તન આવે છે. આ કિસ્સામાં કોન્ટ્રાક્ટરે લાંચ આપવાને બદલે કાયદાનો સાથ લીધો, જે દરેક નાગરિક માટે પ્રેરણારૂપ છે. યાદ રાખો, લાંચ લેવી અને આપવી બંને ગુનો છે. જો કોઈ સરકારી કર્મચારી કામ માટે નાણાં માંગે, તો તુરંત એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here