જામનગર અપડેટ્સ : જામનગર શહેર જીલ્લામાં પડેલ ભારે વરસાદે વ્યાપક તારાજી વેરી છે. જેને લઈને રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ આજે જામનગરના પ્રવાશે આવ્યા હતા. પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ અસરગ્રસ્તોના આંસુ પણ લુછી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.
સપથવિધિના બીજા જ દિવસે સીએમ એક્શન મોડમાં આવી ગયા છે. આજે જામનગરના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકત લીધી હતી. જેમાં ધુવાવ ગામ તેમજ જામનગર શહેરના મહાપ્રભુજી બેઠક અને લાલપુર રોડ પરના વિસ્તારોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી બન્યા બાદ બાદ રાજ્યમાં પ્રથમ મુલાકાત જામનગરની કરી છે.
અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ સીએમએ કલેકટર કચેરી ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ માધ્યમો સાથેના સંવાદમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર સરકાર અસરગ્રસ્તોની સાથે છે.સરકાર સ્થાનિક તંત્ર દ્વારા લોકોને બચાવવા માટે કરવામાં આવેલી ત્વરિત કામગીરી ની વિગતો આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે જામનગર જિલ્લાના 447 ગામોમાં ભારે વરસાદની અસર પહોંચી છે.સમગ્ર જિલ્લાની ટીમને કપરી કામગીરી સરળતાથી બજાવવા બદલ અભિનંદન આપી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નુક્સાનીના સર્વે માટે સ્થાનિક ઉપરાંત બહારના જિલ્લાઓમાંથી પણ ટીમોને બોલાવવા સૂચના આપવામાં આવી છે.હકારાત્મક અભિગમ દાખવીને સાચો રહી ન જાય અને ખોટો લઈ ન જાય એ રીતે સર્વેની કામગીરી હાથ ધરવા માર્ગદર્શન આપ્યું છે.
આ સમયમાં પ્રજાની પડખે ઉભા રહેવાનું દાયિત્વ નિભાવવા માર્ગદર્શીત કરતા મુખ્યમંત્રીએ જામનગર જિલ્લામાં થઈ રહેલી કામગીરીની વિગતો આપતા કહ્યું કે જિલ્લામાં કુલ 4,760 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. 144 લોકોને NDRF, SDRF તેમજ એરફોર્સ દ્વારા રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા છે.
46 ટીમો સર્વે માટે હાલ કાર્યરત છે.સૌરાષ્ટ્રમાં મોસમનો 80% વરસાદ પડી ચુક્યો છે.જિલ્લાના 84 ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ હતી તાત્કાલિક કામગીરી હાથ ધરીને આજ સાંજ સુધીમાં 100% ગામોમાં વીજળી મળે તે રીતે કામગીરી કરવા સૂચના આપી છે. મૃત પશુ નિકાલ અને સફાઈ માટે જરૂર પડ્યે બહારની ટીમ બોલાવવા સૂચના આપવામાં આવી છે તેમજ રસ્તાઓ ખુલ્લા કરવા કામગીરી થઈ રહી છે. આ ઉપરાંત ૪૧ હજાર હેક્ટર જમીનને પણ નુકશાની પહોચી હોવાનું સીએમ પટેલે જણાવ્યું હતું.