દેવભૂમિ દ્વારકામાં એક જ રાત્રે બે ગમખ્વાર અકસ્માત: ત્રણનાં મોત, ત્રણ ઘાયલ

ખંભાળિયા-દ્વારકા હાઇવે પર કાર ડિવાઇડર પર ચઢી, ભાણવડ પાસે હિટ એન્ડ રન, વેપારીનું ઘટનાસ્થળે મોત

0
392

jamnagr updates: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 30 એપ્રિલ 2026ની રાત્રે બે અલગ સ્થળોએ થયેલા માર્ગ અકસ્માતોમાં કુલ ત્રણ લોકોના મોત નીપજતા જિલ્લામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે, જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. બંને બનાવોમાં બેફામ અને ગફલતભરી ડ્રાઇવિંગ મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પ્રથમ બનાવ ખંભાળિયા-દ્વારકા હાઇવે પર કલ્યાણપુર તાલુકાના હાબરડી ગામ નજીક બન્યો હતો. રાત્રે અંદાજે 8થી 10 વાગ્યાના સમયગાળા દરમિયાન અક્ષયભાઇ મનસુખભાઇ ઠાકર પોતાની કાર (નં. GJ-10-AC-5646) ઝડપી ગતિએ અને બેફીકરાઈથી હંકારી રહ્યા હતા. દરમિયાન કાર અચાનક કાબૂ ગુમાવતા ડિવાઇડર પર ચઢી ગઈ અને ગંભીર અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનામાં કારમાં સવાર ખિમજીભાઇ અને તેમની મામી મંજુબેનના મોત થયા, જ્યારે અનિલભાઇ જોષી, મનસુખભાઇ અને દ્રષ્ટીબેન ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાંથી બેને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

બીજો બનાવ ભાણવડ તાલુકાના રૂપામોરા ગામે પીરની દરગાહ સામે રોડ પર બન્યો હતો. રાત્રે 10 વાગ્યા પહેલા કોઈ પણ સમયે અજાણ્યા ફોરવ્હીલ વાહનચાલકે બેફામ ગતિએ દિપકભાઇ મસરીભાઇ પીપરોતરની મોટરસાઇકલ (નં. GJ-37-P-1247)ને ટક્કર મારી હતી. ગંભીર ઇજાઓને કારણે દિપકભાઇનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આરોપી વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બંને બનાવોમાં પોલીસે અલગ-અલગ ગુનાઓ નોંધ્યા છે. કલ્યાણપુર પોલીસ દ્વારા પ્રથમ બનાવમાં કાર ચાલક સામે અને ભાણવડ પોલીસે બીજા બનાવમાં અજાણ્યા વાહનચાલક સામે ભારતીય ન્યાય સંહિતા-2023 તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનાઓ દાખલ કર્યા છે. હાલ બંને કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવમાં આરોપીની ધરપકડ બાકી છે, જ્યારે બીજા બનાવમાં ફરાર વાહનચાલકની શોધખોળ ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here