દિવસ-રાત પૂજાપાઠ કર્યા છતાં સ્થિતી નહિ સુધરતા ભગતે મૂર્તિ છબીને આગ ચાંપી

0
518

ફળની આશા છોડી તું તારું કર્મ કરતો જા એમ ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં માનવ સંદેશો આપતા કહ્યું છે જોકે આનાથી ઊલટો કિસ્સો સામે આવ્યો છે રાજકોટના જીયાણા ગામમાં ભગવાનના મંદિરમાં ખૂબ પૂજા પાઠ કર્યા પરંતુ સારી સ્થિતિ નહીં થતાં આખરે એ ભગતે કંટાળી મંદિરની મૂર્તિઓ તોડી આગ લગાવી દીધી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. પોલીસે વીધીવત ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના છે રાજકોટ પાસે જીયાણા ગામની, ત્રણ મંદિરોમાં આગ લગાડી મૂર્તિ-છબી નષ્ટ કરી નાખવામાં આવી, જેને લાઇ પોલીસમાં ગુનો દાખલ કર્યો, ગામમાં આવેલ રામાપીર મંદિર, બંગલા વાળી મેલડી માતાજીનું મંદિર અને વાસંગીદાદાના મંદિરમાં આ ઘટના સામે આવી હતી. પોલીસે તપાસ કરતા ગામના પૂર્વ સરપંચ અરવિંદ સરવૈયા નામના વ્યક્તિને સકંજામાં લીધો હતો. પૂર્વ સરપંચે ખૂબ પૂજા પાઠ કર્યા પણ સ્થિતિ જેસે થે જ રહેતા તેઓએ ભગવાનથી નારાજ થઈ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાહેર થયું છે.

ફરિયાદી કાનજીભાઈ સવશીભાઈ મેઘાણીની ફરિયાદ મુજબ, હાલ હું તાલુકા પંચાયતના સદસ્ય તરીકે સેવા આપું છું, તેમજ ખેતી કરું છું. ગઇકાલ તા.12/5/2024 ના રાત્રીના 9 વાગ્યાથી તા.13ના રાત્રે 1 વાગ્યા દરમિયાન અમારા ગામે બંગલા વાળી મેલડી માતાના મંદીરે તાવો હોય, જેથી બધા હાજર હતા.
ત્યારબાદ રાત્રીના એકાદ વાગ્યે બધા ઘરે જતા રહેલ. બીજે દિવસે સવારના નવેક વાગ્યે હું મારા ઘરે હાજર હતો. તે વખતે અમારા ગામના લક્ષ્મણભાઇ પોલાભાઇ રામાણીનો મારા ઉપર ફોન આવેલ અને મને કહેલ કે, આપણા ગામના પાદરમાં આવેલ રામાપીરના મંદીરની અંદર ટાયર મુકી સળગાવી રામાપીરની મૂર્તિ નષ્ટ કરી નાખેલ છે, તેમજ ગામની સીમમાં આવેલ બંગલા વાળી મેલડી માતાના મંદીરમાં પણ લાકડા સળગાવી મેલડી માતાની છબી સળગાવી નષ્ટ કરી છે, તેમજ વાસંગીદાદાના મંદીરે તાળુ મારેલ હોય જેથી મંદીર બહાર પડેલ કપડાના ગાભા સળગાવેલ છે. વાસંગીદાદાના મંદીરમાં કોઇ નુકસાન થયેલ નથી.

તેમ વાત કરતા હું તથા અમારા ગામના હમીરભાઇ લક્ષ્મણભાઈ બોરીચા અને કાળુભાઇ બાબુભાઇ મોતાણી વગેરે આગેવાનો પ્રથમ રામાપીરના મંદીરે જતા મંદીરમાં ટાયર મુકી સળગાવેલ હોય જેથી રામાપીરની મુર્તી નષ્ટ થઈ ગઈ હતી. બંગલા વાળી મેલડી માતાના મંદીરે જઈને જોતા મંદીર અંદર લાકડા મુકી સળગાવેલાના તાજી રાખ જોવામા આવેલ ત્યારબાદ વાસંગી દાદાના મંદીરે તાળુ મારેલ હાલતમાં હોય ત્યાં કોઇ નુકસાન થયેલ નહોતું તેવું જોવા મળેલ. જેથી કોઈ અજાણ્યા શખ્સે અમારી ધાર્મીક લાગણીને ઠેસ પહોંચાડી મંદીર અપવિત્ર કરી મુર્તીને ટાયર તથા લોકડાથી સળગાવી અમારી ધાર્મિક લાગણીને ઠેસ પહોચાડેલ છે.

એરપોર્ટ પોલીસે આઇપીસી 295, 435 મુજબ ગુનો દાખલ તપાસ હાથ ધરી હતી. કાનજીભાઈ મેઘાણીએ કહ્યું કે, રામાપીરનું મંદિર ગામ સંચાલિત છે. અહીં લક્ષ્મણભાઇ રામાણી ભુવા છે અને તે સેવા-પૂજા કરે છે. વાસંગીદાદાના મંદિરે મનુભાઈ આહીર નામના વ્યક્તિ સેવા પૂજા કરે છે. જ્યારે સીમ વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિરે આસપાસના પાંચ ગામના લોકો આવે છે. અમારા આ ગામોમાં ક્યાંય જ્ઞાતિવાદ કે કોમવાદ નથી. સૌ સંપીને રહે છે. ક્યારેય આ રીતે ધાર્મિક જગ્યા પર કોઈ ટીખળ નથી થઈ. આ પ્રથમ વખત બન્યું છે. ત્યારે આ કૃત્ય કોણે કર્યું તે મોટો પ્રશ્ન હતો.

ત્રણ મંદિર સળગાવી નખાયાના ચકચારી બનાવમાં આ અસામાજિક તત્વો બાઈક કે અન્ય કોઈ વાહનમાં આવ્યા હોવાની દ્રઢ શંકા છે. કારણ કે, વાસંગી દાદાનું મંદિર ગામની ઉગમણી બાજુ 3 કિમી દૂર આવેલ છે, મેલડી માતાજીનું મંદિર ગામથી ઉત્તર દિશામાં 3 કિમી દૂર આવેલું છે અને રામાપીરનું મંદિર ગામના પાદરમાં આવેલું છે. એમ આ અંતર કાપી ત્રણેય મંદિરમાં આગ લગાડવા માટે બાઈક કે અન્ય કોઈ વાહનનો ઉપયોગ થયો હોય શકે છે.

બીજી તરફ જીયાણાં ગ્રામ પંચાયતના સીસીટીવી ખરાબ હોવાથી તે રીપેર કરવા મોકલાયા હોવાનું સામે આવ્યું છે. જોકે એરપોર્ટ પોલીસે ગામની સહકારી મંડળી, પાનની દુકાને લાગેલા સીસીટીવીના ફૂટેજ કબ્જે લીધા હતા. આ કેમેરામાં રાત્રે 1 વાગ્યા બાદ જે જે લોકો કેદ થયા હશે તેની પોલીસ પૂછપરછ કરી હતી. જેમાં અરવિંદ સરવૈયાની પૂછપરછ કરતા તે ખૂબ સેવા પૂજા કરતો હતો પણ તેનું કોઈ કામ થતું નહોતું. તેની જે સ્થિતિ હતી તે પણ સુધરતી નહોતી. જેથી અંતે ભગવાનથી નારાજ થઈ આ કૃત્ય કર્યું હોવાની કબૂલાત તેણે આપી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here