જામનગર : જામનગરના વકીલ કિરીટ જોશી હત્યા પ્રકરણમાં સંડોવાયેલ ત્રણેય આરોપીઓને એલસીબીએ કોલકતાથી દબોચી લઇ જામનગર લઇ આવી છે. આ ત્રણેય આરોપીઓને જયેશ પટેલે વકીલની હત્યા કરવાની સોપારી આપી હતી. હત્યાના આઠ માસ પૂર્વે જ અમદાવાદ જેલમાં કાવતરું રચાયું હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
જામનગરના ખ્યાતનામ વકીલ કિરીટ જોશી હત્યા પ્રકરણમાં સંડોવાયેલ અને લાંબા સમયથી ફરાર રહેલ આરોપીઓ દિલીપ નટવરલાલ ઠક્કર તેના ભાઈ હાર્દિક અને જયંત અમૃતલાલ ગઢવીને કોલકતાથી દબોચી લેવામાં આવ્યા છે. રાજ્યભરમાં બહુ ચકચાર જગાવનાર કિરીટ જોશી હત્યા પ્રકરણમાં પોલીસે મહત્વની સફળતા મેળવી લીધી છે. કોલકતાના ચોક્કસ વીસ્તારમાં આશ્રય લઇ રહેલા ત્રણેય આરોપીઓને પોલીસે વિધિવત પકડી પાડી જામનગર પહોચી છે આજે રાત્રે આઠેક વાગ્યે જામનગર એલસીબી અને પેરોલ ફર્લો પોલીસ જામનગર આવી પહોચી હતી. આવતી કાલે આરોપીઓનો કોવીડ ટેસ્ટ કરવામાં આવશે. બીજી તરફ આ પ્રકરણમાં સનસનાટીભરી વિગતો સામે આવી છે. ત્રણેય આરોપીઓ અને જયેશ પટેલ કેવી રીતે ? ક્યાં અને કેવા સંજોગોમાં મળ્યા હતા ? તેનો ખુલાસો થયો છે. પોલીસ સુત્રોનું માનવામાં આવે તો હત્યા પૂર્વે જયેશ પટેલ એક કેસ સંદર્ભે અમદાવાદની મધ્યસ્થ જેલમાં બંધ હતો.જે તે સમયે હત્યા પ્રકરણમાં જેલમાં રહેલ ત્રણેય આરોપીઓનો ભેટો થયો હતો. વર્ષ ૨૦૧૭ના ઓગસ્ટ માસમાં જેલમાં ચારેયની મુલાકાત થઇ હતી ત્યારે જયેશ પટેલે ત્રણેય સાથે મળી વકીલ જોશીની હત્યા નીપજાવવાનું કાવતરું રચ્યું હતું. આ કાવતરું રચ્યા બાદ પ્રથમ જયેશ પટેલ જેલમાંથી જામીન પર છૂટ્યો હતો. ત્યાર બાદ આ ત્રણ આરોપીઓને જમીન પર છોડાવવા જયેશ પટેલે મદદ કરી હતી. જેલમાંથી છૂટ્યા બાદ ત્રણેય સખ્સોએ વકીલની હત્યાને અંજામ આપ્યો હોવાની વિગતો જાણવા મળી છે.