જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાલીયા ખાતે રહેતા અને બારા આરોગ્ય કેન્દ્રમાં લેબ ટેકનીશીયન તરીકે નોકરી કરતા એક કર્મચારીના બંધ ઘરમાંથી ચોરીનો બનાવ સામે આવ્યો છે.
![](https://www.jamnagarupdates.com/wp-content/uploads/2020/09/CHORI-2-1.jpg)
ખંભાલીયા ખાતે યોગેશ્વરનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હસમુખભાઈ મનજીભાઈ પરમારના ગત તા. ૨૪ થી ૨૭ દિવસ સુધીના ત્રણ દિવસના ગાળામાં બંધ રહેલ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં મકાનની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશી તસ્કરોએ લોખંડના કબાટ પર નજર જમાવી, કબાટ અંદરથી તિજોરી તોડી તેમાંથી રૂપિયા દસ હજારની રોકડ અને અઢીસો ગ્રામ વજનના ચાંદીના ઘરેણા સહિતનો મુદ્દામાલ કરી ગયા હતા. મૂળ સુરેન્દ્રનગરનાં થાનગઢ રહેતા હસમુખભાઈ પોતાના પરિવાર સાથે ગત તા. ૨૪મીના રોજ થાનગઢ ગયા હતા ત્યારબાદ બંધ રહેલ મકાનમાં ચોરી થવા પામી હતી. હસમુખભાઈ યોગેશ્વરનગરમાં રહી બારા ગામે આવેલ આરોગ્ય કેન્દ્રમાં લેબ ટેકનીશીયન તરીકે નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ બનાવ અંગે તપાસ શરુ કરી છે.