જન્મજયંતી: બહુધા ક્રિકેટરથી માંડી દીર્ઘદ્રષ્ટા રાજા સુધીની રાજવી ક્રિકેટર જામરણજીતસિંહની સફર, જાણો રાજવી વિષે વિસ્તારથી

0
675

જામનગર : વીસમી સદીમાં જામનગરે ક્રિકેટ વિશ્વને આપી છે વિરાટ વિભૂતિ, જામ રાજવી પરિવારમાં જન્મેલ રાજા રણજીતસિંહ પોતાના રાજવી કાળ કરતા ક્રિકેટ કૌશલ્યને લઈને વધુ ખ્યાતી મેળવી હતી. જામજોધપુરના સડોદર ગામે જન્મેલા આ રાજવીએ પોતાનો અભ્યાસ ઇંગ્લેન્ડમાં કર્યો હતો. અભ્યાસની સાથે જ ક્રિકેટને પોતાના જીવન સાથે વણી લઇ કેમ્બ્રિજ યુનીવર્સીટીના પ્રથમ કક્ષાના ક્રિકેટથી માંડી સસેક્સ અને ઇન્ગ્લેંડની ટીમ સુધીની સફરમાં અનેક આયામો સર કર્યા છે. સાથે સાથે જામનગરની પ્રજા જીજી હોસ્પિટલ, પહોળા રસ્તાઓ વાળા શહેરની વચ્ચે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તે પણ જામ રણજીના સાશનકાળમાં બન્યું છે.

વર્ષ ૧૮૭૨ની ૧૦મી સપ્ટેમ્બરના રોજ જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં દરબાર ગઢમાં જામ રણજીતસિંહનો જન્મ થયો હતો. રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઇંગ્લેન્ડમાં કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં અભ્યાસ કર્યો હતો. આભ્યાસની સાથે સાથે ક્રિકેટમાં અભિરુચિ દર્શાવી હતી .

જેમ જેમ ક્રિકેટ રમતા ગયા તેમ તેમ અનેક આયામો સર કર્યા જામ રાજવીએ વર્ષ ૧૮૯૩-૯૪માં કેમ્બ્રિજ યુનીવર્સીટી ક્રિકેટ કલબથી શરૂઆત કરી એક વર્ષ સુધી યુનીવર્સીટી સાથે જોડાયેલ રહ્યા. ત્યારબાદ વર્ષ ૧૮૯૫થી ૧૯૨૦ સુધી સસેક્સ પરગણાં તરફથી કાઉન્ટી ક્રિકેટ પણ રમ્યા હતા. જયારે વચ્ચે ચાર વર્ષ સુધી લંડન ક્રિકેટ કાઉન્ટી કલબ સાથે પણ જોડાયા હતા. જમણેરી બેસ્ટમેન તરીકે ક્રિકેટ રમી રણજીતસિંહની વર્ષ ૧૮૯૬માં ઇંગ્લેન્ડ તરફથી પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ટીમમાં પસંદગી પામ્યા હતા અને વર્ષ ૧૯૦૨ સુધી ઇંગ્લેન્ડની ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રાન્ય હતા. તેઓએ ૧૫ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચમાં ૪૫ રનની સરેરાસ સાથે કુલ ૯૮૯ રન નોંધાવ્યા છે. જયારે ૩૦૭ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૫૬.૦૪ની એવરેજથી ૨૪૬૯૨ રન બનાવ્યા છે. બીજી તરફ ટેસ્ટ કારકિર્દીમાં એક વિકેટ અને પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં ૧૩૩ વિકેટનો સમાવેશ થાય છે. તેઓએ ક્રિકેટની સુધરતી જતી પીચનો લાભ લઇને બેકફૂટ પ્રકારની ક્રિકેટ શૈલીનો ઉપયોગ કર્યો હતો અને તેમણે લેગ ગ્લાન્સની ક્રિકેટ વિશ્વને ભેટ આપી છે.

ક્રિકેટ વિશ્વમાં સ્થાપેલ આયામોને લઈને રણજીતસિંહનાં નામે ભારતની પ્રથમ કક્ષાની ક્રિકેટ પ્રતિયોગિતા રણજી ટ્રોફીને તેઓની નામ આપવા આવ્યું છે. રાજવી રણજીતસિંહ ૧૯૦૭માં ભારત પરત ફર્યા હતા અને નવાનગર (જામનગર) રજવાડાના મહારાજા જામ સાહેબ બન્યા હતા. પછીથી તેઓ ભારતીય રાજાઓના ચેમ્બર ઓફ પ્રિન્સના ચાન્સેલર બન્યા હતા અને લીગ ઓફ નેશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ક્રિકેટ કુનેહ ઉપરાંત જામનગર શહેર અને સ્ટેટના વિકાસના કાર્યોને લઈને પણ પ્રજા ક્યારેય નહી વિસરે, વર્ષ ૧૯૦૭ થી ૧૯૩૧ સુધી જામનગરમાં સાશન કરી મહેસુલ પદ્ધતિમાં ધરખમ સુધારા કરી વધુ વ્યવહારિક બનાવી, જામનગરથી દ્વારકા સુધીનો રેલ્વે ટ્રેક, ઈરવીન(હાલ જીજી) હોસ્પિટલ બેડીબંદરનો વિકાસ, સુમેર સ્પોર્ટ્સ કલબ, હાલ શહેરની જીવાદોરી સમો રણજીત સાગર ડેમ, શહેરને આધુનિક બનાવી પહોળા રસ્તાઓની ભેટ સહિતના કર્યો  જામ રણજીતસિંહજીના સમયમાં થયા હતા.આ ઉપરાંત તેઓના કાર્યકાળ દરમિયાન સેક્રેટરીએટ પદ્ધતિ પણ તેઓએ દાખલ કરાવી હતી. ક્રિકેટ વિશ્વને જેટલું આપ્યું એટલું જ રાજા તરીકે પ્રજાને પણ આપ્યું છે આ જાજરમાન જામ રાજવીએ, આજે તેઓની જન્મ જયંતી નિમિતે સમગ્ર હાલારીઓ વતી જામ રાજવીને સત સત નમન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here