જામનગર અપડેટ્સ : જામજોધપુર તાલુકાના સડોદર ગામે ખાનગી કંપનીની બાજુમાં ઝુંપડામાં રહેતા માતા-પુત્ર પર પેટ્રોલ છાંટીને સળગાવી દઇ હત્યા નિપજાવવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી જવા પામી છે. માતા-પુત્રને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભોગગ્રસ્ત મહિલાના પતિએ જ આ કૃત્ય આચર્યુ હોવાની સામે આવતા પોલીસે હત્યા પ્રયાસ સંબંધીત ફરિયાદ નોંધી ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. સંતાનને બરાબર સચાવતી ન હોવાના ખારને લઇને આરોપીએ મહિલા અને તેના પુત્રને જીવતા સળગાવી દેવાના પ્રયાસ કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જામજોધપુર પંથક સહિત જિલ્લાભરમાં ચકચાર જગાવનાર બનાવની પ્રાપ્ત વિગત અનુસાર જામજોધપુર તાલુકાના સડોદર ગામે ગઇકાલે સાતેક વાગ્યે એનારકોન કંપનીની બાજુમાં ઝુંપડામાં રહેતા ભાવનાબેન નરેશભાઇ મારવાડી (ઉ.વ.30) અને તેનો આઠ માસના પુત્ર પર તેણીના પતિ અને માસુમના પિતા એવા નરેશ કનુભાઇ મારવાડીએ પેટ્રોલ છાંટીને આગ ચાપી દેતા ચકચાર મચી જવા પામી છે. દરમ્યાન માતા અને તેના પુત્ર ગંભીર રીતે દાઝી જતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે જાણ થતા શેઠવડાળા પોલીસે ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચી બનાવ અંગેનો તાગ મેળવ્યો હતો. આ બનાવ અંગે સારવાર લીધા બાદ ભાવનાબેને તેના જ પતિ એવા આરોપી નરેશ મારવાડી સામે શેઠવડાળા પોલીસ દફતરમાં આઇપીસી કલમ 307, 504 મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીએ તેણીને કહ્યું હતું કે, પોતાના સંતાનને યોગ્ય રીતે સચાવતી નથી ત્યારબાદ બોલાચાલી કરી મનફાવે તેમ વાણી વિલાસ આચરી ઓરડીમાં પેટ્રોલ છાંટી વારદાતને અંજામ આપ્યો હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસ દ્વારા આરોપી નરેશની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.