જામનગર: જામનગર નજીકના મસીતીયા ગામે દર વર્ષે ધુળેટીના દિવસે અનોખી ઘોડા દોડ યોજાય છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં સ્થાનિક તો ઠીક બહાર ગામના ઘોડે સવારો ભાગ લઈ આ સ્પર્ધાને ચાર ચાંદ લગાવે છે. આ વર્ષે બાદશાહ નામનો ઘોડો અન્ય તમામ ઘોડાઓને પછાડી અવવલ રહ્યો છે. આ રેસ જોવા દૂર-સુદુરથી માનવ મહેરામણ ઉમટી પડે છે.
જામનગર નજીકના મસીતીયા ગામે દર વર્ષના ધુળેટીના દિવસે ઘોડા દોડનું આયોજન કરવામાં આવે છે. ધુળેટી પૂર્વેના પખવાડિયાથી રેસના ટ્રેકની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. ગામના જ આગેવાનો દ્વારા ખરડાયેલ ટ્રેકને વ્યવસ્થિત રેસ યુક્ત બનાવવામાં આવે છે. ધુળેટીના દિવસે અહીં અનેક ગામડાઓમાંથી સ્ત્રી, પુરુષ અને બાળકો આવતા હોય છે. મહત્તમ મુસ્લિમ વસ્તીવાળા આ ગામમાં રેસનું આયોજન પણ મુસ્લિમ બિરાદરો કરે છે. આ રેસમાં હિન્દૂ-મુસ્લિમ તમામ ઘોડે સવારો ભાગ લ્યે છે.
આ વર્ષે એક ડઝન ઉપરાંત ઘોડે સવારોએ ભાગ લીધો હતો જેમાં બાદશાહ નામનો ઘોડો મેદાન મારી ગયો હતો. આ ઘોડેસવારને ઇનામ રૂપે ‘ પાઘડી’ પહેરાવવામાં આવે છે. આ પાઘડી પહેરવા માટે ઘોડે સવારો વચ્ચે રીતસરનો જંગ જામે છે એમ અહીંના મૂળ રહેવાસી એવા પૂર્વ વિપક્ષી નેતા અલતાફ ખફીએ જણાવ્યું હતું.