જામનગર : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એક તરફ તમામ પક્ષ-અપક્ષ ઉમેદવારોએ અંતિમ તબ્બકાનો પ્રચાર શરુ કર્યો છે તો બીજી તરફ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પણ વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મતદાન પ્રક્રિયાના આયોજનમાં આ વખતે પ્રથમ વખત કોરોનાગ્રસ્ત દર્દીઓને સમાવી લેવામાં આવ્યા છે. જો કોઈ કોરોગગ્રસ્ત દર્દી મત આપવા માંગતો હશે તો તેના માટે તંત્ર અલાયદી વ્યવસ્થા ઉભી કરશે.
આગામી તા. ૨૧મીના રોજ જામનગર મહાનગરપાલિકા સહિત રાજયના અન્ય છ મહાનગરપાલિકાનો ચૂંટણી જંગ ખેલાશે. આ મતદાન પ્રક્રિયા પૂર્વે ચૂંટણી પંચ દ્વારા તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કોરોનાકાળ વચ્ચે યોજાવવા જઈ રહેલ આ ચૂંટણી પ્રક્રિયામાં આ વખતે કોરોના દર્દીઓને પણ સમાવી લેવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને અલાયદી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે એમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જે દર્દી મતદાન કરવા માંગતો હશે તેના માટે તંત્ર દ્વારા પ્રથમ વખત ઓનલાઈન-ઓફ લાઈન રજીસ્ટ્રેશન વ્યવસ્થા પણ કરવામાં આવશે. મતદાન પ્રક્રિયા પૂર્વે આ વ્યવસ્થા અમલમાં મુકાશે. જે દર્દીએ મતદાન નોંધણી કરી હશે એ દર્દી માટે મતદાન પ્રક્રિયાના અંતિમ એક કલાકમાં જે તે બુથ પર વ્યવસ્થા કરવામાં આવશે. તબીબોની ટીમ આ મતદારને પીપીઈ કીટ પહેરાવી મતદાન બુથ પર લઇ આવી મતદાન કરાવશે. જો કે તે પૂર્વે બુથ પરના તમામ ફરજ પરના કર્મચારીઓને પીપીઈ કીટ આપવામાં આવશે. મતદાન કરી લીધા બાદ તુરંત આ મતદારને ફરી આરોગ્યની ટીમ હોસ્પિટલ અથવા કોરીન્ટીન સ્થળે લઇ જશે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા દર વખતે મતદાન જાગૃતિ માટે દીવ્યાગ મતદારો માટે વ્યવસ્થા કરતુ હોય છે ત્યારે આ વખતે વધુ એક વખત કોરોના દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા કરશે. જો કે આ આયોજન અંગે સતાવાર જાહેરાત કરવામાં આવી નથી.