જામનગર : જામનગરમાં ગ્રીન સીટી વિસ્તારમાં રહેતા એક યુવાને પ્રેમ લગ્ન કર્યા પછી સાસરિયાઓના ત્રાસના કારણે આજથી ૧૦ દિવસ પહેલાં ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી હતી. જે મામલે પોલીસની ઉંડાણપૂર્વકની તપાસ પછી પોલીસે મૃતક ના કાકાજી સસરા અને કૌટુંબિક સાળા સહિત ત્રણ સામે દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધ્યો છે.

શહેરમાં ગ્રીન સીટી વિસ્તારમાં રહેતા સાગર ભાઈ ગોવિંદભાઈ સોલંકી નામના યુવાને ૧ તારીખે પોતાના ઘરે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવમાં મૃતકના પિતા ગોવિંદભાઈ ભીખાભાઈ સોલંકીએ પોલીસમાં જાહેર કર્યા અનુસાર મૃતકના પુત્ર કે જેણે પ્રેમ લગ્ન કર્યા હતા ત્યાર પછી તેના કાકાજી સસરા વગેરે દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો, જેના ત્રાસના કારણે ઝેરી દવા પી લીધી હોવાનું જાહેર કરાયું હતું. આખરે આ મામલે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી હતી, અને મૃતક યુવાન સાગરને આત્મહત્યા કરવા મજબૂર કરવા અંગે કાકાજી સસરા દિલીપભાઈ રમેશભાઈ ચૌહાણ, ઉપરાંત કૌટુંબિક સાળા તુલસીભાઈ રમેશભાઈ ચૌહાણ અને પ્રકાશભાઇ માયાભાઈ ચૌહાણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતક યુવાને એકાદ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. જેનો ખાર રાખીને આરોપીઓ વારંવાર ત્રાસ ગુજારતા હતા. જેના કારણે ઝેરી દવા પી લીધી હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે.