જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા દોઢ મહીનાથી કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ કરાયો છે, અને શહેરના જુદા જુદા ૧૨ અર્બન હેલ્થ સેન્ટર તથા અન્ય ખાનગી સહિત ૨૨ સ્થળોએથી કોરોના વેકસીન આપવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સમગ્ર શહેરી વિસ્તારમાં અત્યાર સુધીમાં ૮૭,૦૨૬ લોકોએ કોરોના વેક્સિનેશન કરાવી લીધું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ ૬૦ વર્ષથી ઉપરની વયના સિનિયર સિટીઝનો તેમજ ૪૫ વર્ષ થી ૫૯ વર્ષની વયના બિમાર દર્દીઓ માટે વેકસિન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જેના એક મહિનાનો સમયગાળો પૂર્ણ થયા પછી હવે ૪૫ વર્ષથી ઉપરની વયના નાગરિકોને પણ વેકસિન આપવા માટેની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે, અને લોકોનો ઉત્સાહ પણ વધ્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં કુલ ૮૭,૦૨૬ લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે જેમાં ૭૫,૪૦૫ લોકોએ પ્રથમ ડોઝ મેળવી લીધો છે ત્યારે ૧૧,૬૨૧ લોકોએ બીજો ડોઝ પણ મેળવી લીધો છે.જે વેકસિન ની પ્રક્રિયા અવિરત ચાલુ રાખવામાં આવી છે, અને લોકોને વધુમાં વધુ સંખ્યામાં વેક્સિનેશન કરાવી લેવા માટે અનુરોધ કરાયો છે.
બીજી તરફ આજે સતત બીજા દિવસે પણ કોવિડ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ હતી. ગઈ કાલે ૧૨૦૦ બેડ ફૂલ થઇ જતા વધારાની ૧૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બેડ પણ આજે દર્દીઓથી ભરાઈ જતા આવતી કાલની ચિંતામાં વધારો થયો છે. જયારે આજે વધુ ૩૦૨ દરદીઓ નવા ઉમેરાયા છે જેમાં શહેરના ૧૮૭ દર્દીઓનો સમાવેશ થાય છે. જયારે દાખલ પૈકી વધુ ૪૦ દર્દીઓના મૃત્યુ નીપજયા છે. હજુ પણ ૨૩૫ દર્દીઓ વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળ્યું છે.