ખીમરાણા ગામે જતા મોટરસાયકલ ચાલકને અજાણ્યા વાહને ફંગોળતા ચાલક આધેડનું સારવાર દરમીયાન મૃત્યુ નીપજ્યું છે. પોલીસે અકસ્માત નીપજાવી નાશી ગયેલ વાહન ચાલક સામે ફરિયાદ નોંધી શોધખોળ શરુ કરી છે.
જામનગરની ભાગોળે વધુ એક અકસ્માત જીવલેણ સાબિત થયો છે. જેમાં ગત તા. ૨૬/૦૨/૨૦૨૨ના રોજ રાત્રે ઠેબા ચોકડીથી ખીજડીયા બાયપાસ તરફ જતા હાઈ વે પર સમરસ હોસ્ટેલ સામે સાંઢીયા પુલ ઉતરતા એક મોટરસાયકલને અજાણ્યા વાહને જોરદાર ઠોકર મારી દીધી હતી. આ બનાવમાં શાંતીલાલ ગાંડુભાઇ કટેશીયા નામના ખીમરાણા ગામના મોટરસાયકલ ચાલક રોડ ઉપર ફંગોળાઈ જતા આંખ તથા નાક તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી.
દરમિયાન આધેડને તાત્કાલિક જામનગર ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. જ્યાં સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ અકસ્માત નીપજાવી નાશી ગયેલ અજાણ્યા વાહન ચાલક સામે પંચકોશી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વાહન ચાલકનો શોધખોળ શરુ કરી છે. મૃતક કોઈ કામ સબબ બહાર ગામ ગયા બાદ પરત ખીમરાણા ગામે આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાની વિગતો જાણવા મળી છે.