જામનગરમાં જીલ્લા જેલમાં દવાખાનામાં સારવાર દરમિયાન બળાત્કાર પ્રકરણના એક આરોપીએ ડોક્ટરની ફરજમાં રુકાવટ કરી ધાક ધમકી આપી હોવાની સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોતાને જેલમાંથી સારવાર લેવા જીજી હોસ્પિટલ જવું છે તેમ કહી ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.
![](https://www.jamnagarupdates.com/wp-content/uploads/2021/12/jilla-jail.jpg)
જામનગર જીલ્લા જેલ ફરી વિવાદમાં આવી છે. આ વખતે જેલમાં રહેલ બળાત્કાર પ્રકરણના કેદીએ ડોક્ટર સાથે કરેલ બોલાચાલીનો બનાવ સામે આવ્યો છે. ગઈ કાલે જીજી હોસ્પિટલથી જીલ્લા જેલમાં કેદીઓના પરીક્ષણ માટે ડોક્ટર જન્મેજયસિંહ અજયસિંહ જાડેજા અને તેની ટીમ ગઈ હતી. જીલ્લા જેલમાં આવેલ ડિસ્પેન્સરીમા ડોક્ટરની ટીમ દ્વારા જરૂરિયાતમંદ કેદીઓની ચિકિત્સા હાથ ધરી હતી. જેમાં જહાંગીર યુસુફભાઇ ખફી નામના કેદીએ ડોક્ટર સાથે બોલાચાલી કરી હતી. પોતાને જીજી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જવું છે એમ કહી આરોપી જહાંગીરે ડોક્ટર સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ડોક્ટર જાડેજાએ આરોપી સામે પોતાની કાયદેસરની ફરજમાં રુકાવટ કર્યા અંગે સીટી એ ડીવીજન પોલીસમાં આઈપીસી કલમ ૧૮૬,૫૦૪,૫૦૬(૨)મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીએસઆઈ આઈ આઈ નોયડા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીએ એક સગીરા સાથે તાજેતરમાં જ બળાત્કાર ગુજાર્યો હતો. જેની સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી જેલ હવાલે કર્યો હતો. જ્યાં પણ આરોપીએ ડોક્ટરની ફરજમાં રુકાવટ કરી છે.