શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે રોંગ સાઈડમાં ઓવર ટેક કરી આંતરી લેવાયા બાદ ટેન્કર ચાલકને જામનગરના ચાર કાર સવાર સખ્સોએ માર મારતા લોકો એકત્ર થયા હતા. જો કે આ ફિલ્મી ટાઈપની ગુંડાગીર્દી વચ્ચે પોલીસ આવી જતા ચારેય સખ્સોના સીન વિખેરાઈ ગયા હતા. પોલીસે ચારેયને પકડીને લોકઅપમાં પૂરી દીધા હતા.

જામનગરમાં લાલપુર ચોકડી પાસે ઘટેલી ઘટના અંગે રાજસ્થાનના નાગોર જીલ્લાના ટ્રક ચાલક નરપતગીરી સાગરગીરી ગોસ્વામી નામના ટ્રક ચાલકે પંચકોશી બી ડીવીજન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગઈ કાલે બપોરે ત્રણેક વાગ્યે પોતે ટેન્કર ટ્રક નંબર એનએલ ૦૧ એએ ૦૭૫૧ લઇને રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહ્યો હતો. ત્યારે લાલપુર ચોકડી પાસે રોંગ સાઇડથી આરોપીઓ એ પોતાની જીજે ૧૦ ડીએ ૨૩૫૧ નંબરની કાર ચલાવી ટેન્કરને ઓવર ટેક કરી હતી. ત્યારબાદ ટેન્કર સાથે કાર અડાવી રોકી લેવામાં આવ્યો હતો. દરમિયાન કારમાંથી ઉતરેલ કરશનભાઇ રામભાઇ, રવીભાઇ રામશીભાઇ, જગદીશભાઇ બાબુભાઇ મેરીયા અને સંજયભાઇ પ્રભુભાઇ ગંઢા નામના જામનગરમાં રહેતા સખ્સોએ ચાલક નરપતગીરીને ટેન્કર નીચે ઉતારી બહાર ખેચી લીધો હતો અને ઢીકાપાટુંનો માર મારી પાડી દીધો હતો. આ સમયે ટ્રાફિકમાં ફરજ બજાવતા બે જીઆરડીના જવાનો આવી ગયા હતા. છતાં પણ ચારેય સખ્સોએ રાજસ્થાની ટેન્કર ચાલકને બેફામ માર માર્યો હતો. ત્યારબાદ પંચકોશી બી ડીવીજન પોલીસ આવી જતા આરોપીઓના કબ્જામાંથી ચાલકને છોડાવ્યો હતો અને આરોપીઓને પોલીસ દફતર લઇ જવાયા હતા. જયા ટ્રક ચાલકે ચારેય સામે આઈપીસી કલમ ૨૭૯,૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૨),૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.