જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અવિરત મેઘ મહેર કહેરમાં ફેરવાતી જાય છે, સતત વરસતા વરસાદ વચ્ચે આજે પણ વ્યાપક વરસાદ પડતા ખંભાલીયા પંથક અમુક ગામડાઓમાં ત્રણ થી છ ઇંચ વરસાદ પડ્યો છે. તાલુકાના બેરાજા ગામે તો નદીમાં આવેલ પુરમાં ઊંટ તણાઈ ગયો હોવાના અહેવાલ મળ્યા છે.
![](http://www.jamnagarupdates.com/wp-content/uploads/2020/08/CAMEL-1-1024x813.jpg)
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આ વખતે મેઘરાજા એવા તે મોહી ગયા છે કે મહેર હવે કહેર તરફ વળી રહી છે. આજે પણ મેઘરાજાએ સતાવાર રીતે અડધાથી સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. ખંભાલીયા ડીઝાસ્ટર કચેરીમાં નોંધાયેલ બપોરના બાર વાગ્યા સુધીના આકડા મુજબ ખંભાલીયા તાલુકા મથકે છ કલાકમાં પોણા ચાર ઇંચ ( ૯૧ મીમી), દ્વારકામાં પોણા બે ઇંચ વરસાદ, જયારે ભાણવડમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
![](http://www.jamnagarupdates.com/wp-content/uploads/2020/08/KHM-VARSAD-3.jpg)
બીજી તરફ ખંભાલીયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ થી છ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સલાયામાં પણ ત્રણ ઇંચ પાણી પડી ગયું હતું. જયારે તાલુકાના ઉગમણા બારા, વડત્રા, જાકસિયા, બેરાજા, આસોટા, દાત્રાણા અને હંજરાપર સહિતના ગામડાઓમાં બે થી ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમજ કલ્યાણપુર તાલુકાના અમુક ગામડાઓમાં વરસાદ પડ્યો છે પરંતુ તાલુકા મથકે વરસાદ ન પડ્યો હોવાનું કન્ટ્રોલ રૂમના આકડા કહે છે. બીજી તરફ બેરાજા ગામે ભારે વરસાદના કારણે વેદમતી નદીમાં ઘોડા પુર આવતા એક ઊંટ પુરમાં તણાઈ ગયો છે જયારે આ જ પુરના પાણી અનેક ખેતરોમાં ફરી વળતા ખરીફ પાકને વ્યાપક નુકસાની પહોચી હોવાના અહેવાલ છે.
![](http://www.jamnagarupdates.com/wp-content/uploads/2020/08/KHM-VARSAD-2.jpg)
મોસમના કુલ વરસાદની વાત કરવામાં આવે તો કલ્યાણપુરમાં એસી ઇંચ, ખંભાલીયામાં નેવું ઇંચ અને દ્વારકામાં ૪૮ ઇંચ અને ભાણવડમાં ૮૨ ઇંચ વરસાદ નોંધાયો છે.