જન્મ દિવસ મુબારક : આજે મારું જામનગર 480 વર્ષનું થયું

0
513

જામનગર : જામનગર એ જામ રાજાઓની રાજાશાહીની અમુલ્ય દેન સમું શહેર છે. નવાનગર તરીકે સ્થાપિત થયેલ નગરને જામ રાજાઓએ ન કેવળ વિશાળતા આપી પરંતુ જન-જનના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપ્યું,  બરાબર આજથી ૪૮૦ વર્ષ પૂર્વે ૧૫૪૦માં શ્રાવણ સુદ સાતમના દિવસે કચ્છથી આવીને જામ રાજા રાવળજીએ પ્રજાના હિત માટે નવાનગરની સ્થાપના કરી, ત્યારથી માંડી છેક આઝાદી મળ્યા સુધીના  કાળમાં અનેક જામ રાજાઓએ આ નવાનગર કે હાલારને કેટકેટલી હાઈટ આપી છે. જામરાજાઓના કાર્યો અને દૂરંદેશી આયોજનોના સહારે જ આજે નવાનગર એક બહુ આયામી જામનગર બન્યું છે. જામનગર શહેર માં આજે પણ રાજાશાહી સમયની ભવ્ય અને કલાકારીગરી ના નમુના સમાન કેટલીય ઐતિહાસિક ઈમારતો જેવી કે ખંભાળિયા ગેટ, ભુજીયો કોઠો, લાખોટા તળાવ, માંડવીટાવર, પંચેશ્વરટાવર સહિતની ઈમારતો રાજાશાહી જીવંત હોવાનો પુરાવો આપે છે,

શહેરના દરબારગઢ પાસે જામ રાવળજીએ ખાંભી રોપી ૪૮૦ વર્ષ પૂર્વે શહેરનો પાયો નાખ્યો હતો. ત્યારથી માંડી આજ દિવસ સુધી આ ખાંભીની પૂજા દર વર્ષે કરવામાં આવે છે. હાલ દિલાવર સાયકલ સ્ટોરમાં આવેલ ખાંભીનું રાજ્ય મંત્રી હકુભા જાડેજા, મેયર હસમુખ જેઠવા, ડેપ્યુટી મેયર કરશનભાઈ કરમુર અને સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન સુભાષ જોશી, રાજપૂત સમાજના અગ્રણીયો અને શહેરના મોભીઓની હાજરીમાં સાદગીથી કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રનું પેરીસ, છોટીકાશી, આવા ઉપનામો થી જાણીતા એવા જામનગર શહેરનો આજે સ્થાપના દિવસ હોવાથી અને કોરોના મહામારી ને કારણે ઇતિહાસ માં પ્રથમ વાર સાદગી થી ઉજવણી કરવામાં આવી હતી. આજે જામનગર 48૦ વર્ષ પૂર્ણ કરી ૪૮૧માં વર્ષમાં પ્રવેશ્યું છે ત્યારે સર્વે હાલારીઓને જામનગરના જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here