જામનગર : હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. સરકાર અને વહીવટી પ્રસાસન સલાહ સૂચનો આપી કોરોના સામેની લડાઈ લડી રહી છે. પરતું સતાધારી હોય કે વિપક્ષમાં હોય એ તમામ રાજકીય પાર્ટીઓના કાર્યકરો કોરોનાને લઈને કેટલાક સજાગ છે ? તે છેલા બે દિવસમાં નાગરિકોને ખ્યાલ આવી ગયો છે. આજે જામનગર ખાતે એનએસયુઆઈ દ્વારા મહાનગરપાલિકા ખાતે પહોચી વિદ્યાર્થીઓના મુદ્દે જે દેખાવો કર્યા જેનાથી પ્રશ્ન હલ થશે કે કેમ ? એ દૂરની વાત પણ સામાજિક અંતરની ગાઈડ લાઈનના ધજાગરા ઉડી ગયા હતા.
જામનગરમાં આજે એનએસયુઆઈ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરટીઈની પ્રક્રિયામાં સામે આવેલ વિસંગતતાને લઈને તમામ વર્ગને ન્યાય મળે તે માટે આજે વિદ્યાર્થી પાંખ દ્વારા મહાનગરપાલિકા કચેરીએ આવેદનનો કાર્યકર્મ રાખવામાં આવ્યો હતો. જ્યાં એકત્ર થયેલ વિદ્યાર્થી પાંખના હોદેદારો અને કાર્યકરોએ જાણે કોરોના ચાલ્યો ગયો હોય તેમ સોશિયલ ડીસટન્સિંગના લીરે લીરા ઉડાવ્યા હતા. જો વિદ્યાર્થી પાંખમાં જ જાગૃતિ ન હોય તો શાળાઓ ખોલવા બાબતે તેઓનો વિરોધ પણ ન હોવો જોઈએ એમ પણ શહેરની સુજ્ઞ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. ભાજપ અધ્યક્ષના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ઉન્માદમાં આવી ગયેલ કાર્યકરોએ પણ અનેક સ્થળોએ સામાજિક અંતરના ધજીયા ઉડાવ્યા હતા. ત્યારે સવાલ એ થાય છે કે માસ્ક અને સામાજિક અંતરના નિયમો માત્ર સામાન્ય નાગરિકોએ જ પાળવાના ? રાજકીય પાર્ટીના નેતાઓ કે કાર્યકરોની કોઈ જવાબદારી નહી ? કોઈ ક્રિકેટર કે રાજકારણી માસ્ક કે સામાજિક અંતરનો ઉલાળિયો કરે તો તેને બાઈજ્જત બરી કરી દેવાનો ? આ જ આપણી સામાજિક વ્યવસ્થા છે ? એ મુદ્દાઓ પણ ચર્ચાનો વિષય બન્યા છે.





