જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા-દ્વારકા ધોરી માર્ગ પર ખંભાળિયા નજીક સોનારડી ગામના પાટિયા પાસે કાર અને ઇકો વચ્ચેના અકસ્માતમાં સ્થળ પર અમદાવાદના બે સહિત ત્રણ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે જ્યારે અન્ય છ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સોમવારની સવારે દ્વારકા હાઇવે લોહીથી ખરડાયો છે. આજે સવારે છએક વાગ્યે આછા ધૂમમ્સ વચ્ચે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને કારના કુરચા બોલી ગયા હતા . અકસ્માત એટલો ગમખ્વાર હતો કે બંને કાર પડીકું વળી ગઈ હતી. જેમાં બંને કારમાના ત્રણ વ્યક્તિઓના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે અન્ય છ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વધુ વિગતો મેળવાઈ રહી છે. અકસ્માતના આ બનાવમાં અમદાવાદના જગદીશ ઈશ્વરભાઈ દેસાઈ ઉવ ૨૮ અને દિનેશ જયરામભાઈ દેસાઈ ઉવ ૩૦ અને અન્ય કારમાં સવાર કલ્યાણપુર તાલુકાના કવુબેન મેરૂભાઈ ગોજીયાને ગંભીર ઈજાઓ પહોચતા ત્રણેયના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. જ્યારે અન્ય છને ઈજા પહોચતા ખંભાલિયા બાદ જામનગરની જીજી હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા.