ગઈ કાલે રાજ્યના ૧૫૫ મામલતદારની બદલીના હુકમ થયા છે જેમાં જામનગર જીલ્લાના છ અધિકારીઓનો સમાવેશ થાય છે. જયારે રાજ્યના ૧૧૮ નાયબ મામલતદારને મામલતદાર તરીકેના પ્રમોશન આપી નવી નિમણુક આપવામાં આવી છે. જેમાં જામનગર જીલ્લાના નવ નાયબ મામલતદારનો સમાવેશ થાય છે. છ મામલતદારની બદલી થતા નવ નવા મામલતદારની નિમણુક થવા પામી છે, જયારે ૧૩ મામલતદારને નાયબ કલેકટર તરીકે બઢતી આપવામાં આવી છે જેમાં જામનગર જીલ્લાના નાયબ ચૂંટણી અધિકારી જગ્યા ભરવામાં આવી છે. બીજી તરફ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એક મામલતદારની બદલી અને અન્ય બે અધિકારીઓને જીલ્લામાં નિમણુક અપાઈ છે. જેમાં કલ્યાણપુર મામતદારનો સમાવેશ થયો છે.
જામનગર મહાનગર પાલિકાની મધ્યાહન ભોજન યોજનામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા કુ. જે ડી જાડેજાની જામનગર શહેર મામલતદાર તરીકે બદલી થવા પામી છે. જયારે જોડિયા મામલતદાર પીકે સરપદડિયાની જામનગર કલેકટર કચેરી પ્રોટોકોલ મામલતદાર તરીકે અને પ્રોટોકોલમાં ફરજ બજાવતા પીએસ ભુરીયાની જુનાગઢ જીલ્લાના વંથલી મામલતદાર તરીકે નિમણુક કરાઈ છે.
જામજોધપુર મામતદાર ધર્મેશ કાછડની ગીર-સોમનાથ જીલ્લાના વેરાવળ રૂરલમાં માંદલી થવા પામી છે. તેમજ જામનગર ગ્રામ્ય મામલતદાર કમલેશ કરમટાની રાજકોટ કલેકટર કચેરીમાં એડીશનલ ચીટનીશ તરીકે બદલી થવા પામી છે. જયારે જામનગર જીલ્લાના વિવાદિત એવા ચુંટણી શાખામાં ફરજ બજાવતા મામલતદાર અક્ષર વ્યાસની અમદાવાદ જીલ્લાના દસક્રોઈ ખાતે મામલતદાર તરીકે બદલી થવા પામી છે.
આ ઉપરાંત નાયબ મામલતદાર રાજકોટથી મામલતદાર તરીકે પ્રમોશન પામેલ સૈલેશ હાંસલિયાને જામનગર કલેકટર કચેરી, ચૂંટણી શાખામાં મામલતદાર તરીકે, કચ્છ ફરજ બજાવતા મહેશ કટીરાને કાલાવડ મામલતદાર, દયારામ પરમારને જોડિયા મામલતદાર જયારે લાલપુર મામલતદાર તરીકે જુનાગઢથી બઢતી પામી આવેલ જયેશ અનાડાની નિમણુક કરવામાં આવી છેજયારે દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેકટર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા કેતન વાઘેલાની જામજોધપુર મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે. બીજી તરફ અન્ય જીલ્લામાંથી બે અધિકારીને દ્વારકા જીલ્લામાં નિમણુક અપાઈ છે જેમાં અમરેલી જીલ્લાના સાવરકુંડલાના મામલતદાર એમબી દેસાઈની દેવભૂમિ દ્વારકા કલેકટર કચેરીમાં મામલતદાર તરીકે બદલી થવા પામી છે. ભાવનગર કલેકટર કચેરીમાં ચૂંટણી શાખાના મામલતદાર ધવલ રવિયાની દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર ખાતે મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે. નાયબ મામલતદારમાંથી બઢતી પામેલ કચ્છના એમસી પટેલને કલ્યાણપુર મામલતદાર તરીકે, જામનગરના દક્ષાબેન રીંડાણીની ભાણવડ મામલતદાર તરીકે, જયારે પોરબંદરથી રામભાઈ મારુને ઓખા મંડળના મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે.
આ ઉપરાંત જામનગર જીલ્લામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા નવ નાયબ મામતલદારને અન્ય જીલ્લામાં મામલતદાર તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં શ્રીમતી શોભાનાબેન ફળદુની સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા મામલતદાર તરીકે, બી એમ રેવરની અમરેલી જિલ્લાના બાબરા મામલતદાર તરીકે, દક્ષાબેન જગડની અમરેલી કલેકટર કચેરીના ચીટનીસ તરીકે, મહેન્દ્ર સૂચકની સુરેન્દ્રનગર કલેકટર કચેરી ચૂંટણી શાખામાં મામલતદાર તરીકે, દક્ષાબેન રીડાણીની દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ મામલતદાર તરીકે, મહેશ ડી દવેની રાજકોટ કલેકટર કચેરી, ચૂટણી શાખામાં મામલતદાર તરીકે, ગુમાનસિંહ જાડેજાની જુનાગઢ કલેકટર કચેરીના ચીટનીસ તરીકે, બી ટી સવાસાણીની ભાવનગર જીલ્લાના વલભીપુર મામલતદાર તરીકે, પી એમ મહેતાની અમરેલી કલેકટર કચેરીના જનસંપર્ક અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે.
બીજી તરફ રાજ્યના ૧૩ મામલતદારને નાયબ કલેકટરના પ્રમોશન આપવામાં આવ્યા છે. જેમાં જામનગર ખાતે ચુંટણી અધિકારી તરીકેની ખાલી પડેલ જગ્યા પર નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી તરીકે સુરત જીલ્લાના માંગરોળ ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવી બઢતી પામેલ ડી કે વસાવાની નિમણુક કરવામાં આવી છે.
કલ્યાણપુર તાલુકાના બે મામલતદાર ?
રાજ્ય સરકાર દ્વારા બદલી બઢતીના જે હુકમ કરવામાં આવ્યા છે તેમાં થોડી વિસંગતતા સામે આવી છે. જેમાં ભાવનગર કલેકટર કચેરીમાં ચૂંટણી શાખાના મામલતદાર ધવલ રવિયાની દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર ખાતે મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે. જયારે નાયબ મામલતદારમાંથી બઢતી પામેલ કચ્છના એમસી પટેલને પણ કલ્યાણપુર મામલતદાર તરીકે નિમણુક આપવામાં આવી છે. એક જ પોસ્ટ પર બે અધિકારીઓ કેમ ફરજ બજાવી શકે ? એ સવાલ છે.