ધ્રોલ : ૧૧ વીઘામાંથી દંપતી કમાય છે વર્ષે ૧૧ લાખ રૂપિયા, આવી છે પ્રાકૃતિક પદ્ધતિ

0
718

જામનગર તા.૧૯ ઓગષ્ટ,ગુજરાતમાં કૃષિક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રસાયણોથી મુક્ત ખેતીને પ્રાધાન્ય આપે તે હેતુથી કૃષિના વિકાસ અને વિસ્તરણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.હાલ અનેક ખેડૂતોએ આધુનિક ખેતી તરફ પગરણ માંડયા છે.

વર્તમાનમાં પ્રાકૃતિક ખેતી-સજીવ ખેતી પર ભાર મૂકી વર્ષો જૂના કેમિકલગ્રસ્ત ખેતરોને તેનાથી મુક્ત કરી, ફરી નવસાધ્ય કરી મબલખ પાક મેળવવાની પહેલ થઈ રહી છે. ત્યારે ધ્રોલ ગામના ખેડૂત દંપતિ જિજ્ઞેશભાઇ અને દિપ્તિબેન પરમારએ સંપૂર્ણપ્રાકૃતિક ખેતી અપનાવી છે. આજે ૧૧ વીઘાના વિસ્તારમાં સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરી મગફળી, મકાઈ, બાજરી, મગ, મઠ, અડદ, હળદર જેવા અનેક પાકો મેળવે છે અને સંપૂર્ણ ગુણવત્તાલક્ષી, આરોગ્યપ્રદ, રસાયણરહિત આ પાકો મેળવી વર્ષે આશરે ૧૧ લાખની આવક મેળવે છે.

ડ્ર્રીપ ઈરીગેશન સીસ્ટમદ્વારાસજીવ ખેતીમાં અનેરી સફળતા મેળવતા જિજ્ઞેશભાઇ કહે છે કે,ધ્રોલ વિસ્તારમાં સામાન્યત: પાણીની કટોકટી જોવા મળે છે. વિસ્તારમાં વરસાદ સામાન્ય અથવા તેનાથી ઓછો રહે છે. વળી ખેતીના અમારા વિસ્તારોમાં નજીક કોઇ ડેમ સાઇટ ન હોવાથી ભૂગર્ભ જળનો ઉપયોગ કરવાનો રહે છે ત્યારે ટપક પધ્ધતિથી પિયત કરવી ખૂબ અનુકુળ રહે છે.ઓછું પાણી, ગુણવત્તાલક્ષી બીજ પ્રાપ્તિ અને વીજળીની બચત સાથે વધુમાં વધુ પાક મેળવી, સંપૂર્ણ ગુણવત્તાલક્ષી ઉત્પાદન અમે મેળવી શકયા છીએ. સાથે જ સંપૂર્ણ ગાય આધારિત ખેતી મારા ખેતરને, મારા પાકને કેમિકલથી મુક્ત રાખે છે અને તેથી જ મારા પાક ખરીદનાર લોકોને ગુણવતાલક્ષી પાક સાથે સ્વસ્થ જીવનની ભેટ આપી શકયાનો પણ અમને સંતોષ છે.

દસ વર્ષથી પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરતા જિજ્ઞેશભાઇ અને દિપ્તિબેન ખેતીની સતત નવી પદ્ધતિઓ, તેની નવી ટેક્નિકથી લઈ તેના માટેની નવી ટેકનોલોજીનો સતત અભ્યાસ કરતા રહે છે.અગાઉ બ્રાસપાર્ટનું કારખાનુ ચલાવતા જિજ્ઞેશભાઇએ દસ વર્ષ અગાઉ મંદી અને અન્ય મુશ્કેલીઓના સમયે કારખાનાને તિલાંજલી આપી ખેતીને વ્યવસાય તરીકે અપનાવ્યો. વળી આ પ્રયાસોમાં તેમને આરંભમાં જ સરકારની સૌરઉર્જા સંચાલિત સિંચાઇ પંપ માટેની યોજનાનો લાભ મળ્યો.આ યોજના અંતર્ગત ખેડૂત દંપતિએ ૫ હોર્સપાવરનું સોલાર કનેકશન લઇ ખેતીની શરૂઆત કરી હતી. આ યોજના માટે તેઓ આભાર માનતા કહે છે કે, ખેડૂતો માટે સરકારશ્રીની સોલારની યોજના અમારા માટે સાચે જીવનના અંધકારથી અજવાસ તરફ જવાની યોજના સાબિત થઇ છે આ યોજનાના લાભ બાદ આજ દિન સુધી ખેતીમાં ક્યાંય પણ અટક્યા નથી. આ માટે અમે રાજ્યસરકારના ખૂબ  આભારી છીએ.

ખેડૂત દંપતિ દ્વારા પોતે મેળવેલ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી “જશોદા ફાર્મ”ના નામ હેઠળ સ્વ હસ્તે જ વેચાણ કરવામાં આવે છે. આ માટે જામનગર, રાજકોટ,મોરબી,વાંકાનેર શહેરોમાં જિજ્ઞેશભાઇ વચેટિયા વગર જ સીધા ગ્રાહકોને વેચાણ કરે છે. આ ઉપરાંત ગાયના છાણ, કપૂર અને અન્ય ઔષધિઓ દ્વારા ધૂપસ્ટિક,પ્રાકૃતિક ફિનાઇલ“ગોનાઇલ”, રેડીયેશનને નાબૂદ કરવા માટેના ગાયના છાણ તથા ગૌમૂત્રથી બનાવવામાં આવતા ટેગનું પણ ઉત્પાદન કરી વેચાણ કરે છે.  

હાલમાં આ ખેડૂત દંપતિ આધુનિક ખેતીથી મગ, અડદ, વાલ, ચણા, તુવેર જેવા કઠોળ, ઘઉં, બાજરી, મકાઈજેવા ધાન્ય અને મગફળી, તલ જેવા તેલીબીયાનો તેમજ હળદર, આદુ જેવા પાક અન્ય શાકભાજીનો સફળ અને મબલખ પાક લે છે. સાથે જ ખેતીમાં સતત નવા પ્રયોગો કરતા રહેતા જિજ્ઞેશભાઇએ ચેરી જેવા અન્ય ફળોના વાવેતર કરી તેના સફળ પરિણામો  મેળવવાની કામગીરી પણ હાલ ચાલુ કરી દીધી છેઅને અન્ય ઔષધીય વૃક્ષોનું વાવેતર કરી અને તેમાં પણ સફળ પરિણામ મેળવવાના પ્રયાસો કાર્યરત કરી દીધા છે.

સંકલન-દિવ્યાબેન ત્રિવેદી, માહિતી મદદનીશ, ફોટો-માહિતી બ્યુરો,જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here