જામનગર : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે આખરે કોગ્રેસ દ્વારા સંગઠનને વધુ મજબુત બનાવવા માટે જીલ્લા અને જામનગર શહેરના સુકાનીઓની સતાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જીલ્લા સંગઠનની કમાન સીનીયર નેતા અને અનુભવી એવી જીવણભાઈ કુંભારવાડીયાને સોંપવામાં આવી છે. જયારે શહેર કોંગ્રેસની જવાબદારી યુવા નેતા દિગુભા જાડેજાને સોપવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્વે જામનગર જીલ્લા-શહેરમાં ભાજપાએ સંગઠનના સુકાનીઓની વરણી કરી છે અને ચૂંટણીના ચક્રવ્યુહ પણ શરુ કરી દીધા છે ત્યારે સામે પક્ષે શહેર-જીલ્લામાં કોગ્રેસમાં ચહલપહલ તો હતી પરંતુ સંગઠનની નિમણુકને લઈને નિર્ણય લેવાતો ન હતો. ભાજપાની સક્રિયતા બાદ કોંગ્રેસ દ્વારા આજે જામનગર જિલ્લા-શહેરના સુકાનીઓની સતવારા જાહેરાત કરી દીધી છે. જેમાં જીલ્લા પ્રમુખ તરીકે જીવણભાઈ કુંભારવાડિયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે.
જીવણભાઈ અગાઉ પણ જીલ્લાની કમાન સંભાળી ચુક્યા છે અને તેઓના નેતૃત્વ નીચે જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. જયારે શહેરની કમાન વિરેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા જાડેજાને સોંપવામાં આવી છે. છેલ્લા એક દાયકાથી દિગુભાએ શહેર કોંગ્રેસમાં નવા પ્રાણ પૂર્યા છે અને અવારનવાર સરકારનો કાન આમળી વિરોધ પ્રદર્શનો કરી શહેરમાં કોંગ્રેસને જીવંતતા બક્ષી છે. હવે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીકમાં જ હોય ત્યારે કોંગ્રેસ દ્વારા નવા સુકાનીઓની યોગ્ય પસંદગીને લઈને કાર્યકરો અને સમર્થકોમાં નવી ક્રાંતિનો સંચાર થશે એ નક્કી છે.