જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના ભરાણા ગામે આજે ક્ષત્રીય અને મુસ્લિમ જૂથ વચ્ચે સામસામે અથડામણ થતા પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. રાત્રે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વેકસીનેશન દરમિયાન લાઈનમાં ઉભવા બાબતે બંને જૂથના અમુક સભ્યો વચ્ચે થયેલ બોલાચાલી બાદ મામલો બીચકયો હતો અને બંને જૂથ આમને સામને આવી ગયા હતા અને બંને તરફે સખ્સોના ટોળા હથિયારો સાથે બજારમાં ઉતરી આવ્યા હતા. અને સામસામે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભરાણા ગામે ચાલી રહેલ વિકસીનેશન કેમ્પમાં આજે ગામની મહતમ વસ્તી ધરાવતા બે જૂથો સામસામે આવી ગયા હતા. ક્ષત્રીય અને મુસ્લિમ જૂથના બે ત્રણ સભ્યો વચ્ચે લાઈનમાં ઉભા રહેવા અને વારા બાબતે મતભેદ થયા હતા. બંને પક્ષના બે-ત્રણ સખ્સો વચ્ચે થયેલ મનદુઃખની ચિનગારી સમગ્ર ગામમાં વાયુવેગે પ્રશરી જતા તંગદીલી પ્રસરી ગઈ હતી. જોત જોતામાં બંને પક્ષના ટોળા સામસામે આવી જતા પથ્થરમારો કરાયો હતો. લાકડાના ધોકા સહિતના હથિયારો સાથે બજારમાં નીકળી ગયેલ બંને જૂથો વચ્ચે અથડામણ થવા પામી હતી. આ ઘટનાની જાણ થતા જ વાડીનાર પોલીસનો સ્ટાફ તુરંત સ્થળ પર પહોચ્યો હતો. જ્યાં તંગ સ્થિતિ વધુ તંગ બને તે પૂર્વે હેડક્વાટર જાણ કરવામાં આવતા ડીવાયએસપી સહિતનો કાફલો ભરાણા પહોચ્યો હતો અને સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ તંગદિલી ભરી સ્થિતિને લઇ રાત્રે પણ પોલીસ બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે. જૂથ અથડામણમાં બંને પક્ષે સાત વ્યક્તિઓને ઈજાઓ પહોચી છે જયારે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.