જામનગર : યુવાનનું સપનું રોળાયું, પત્નીને પતિથી માઠું લાગ્યું, યુવતીથી એકલવાયું જીવન ન સહેવાયું, આપઘાતના ત્રણ બનાવ

0
804

જામનગર : જામનગર અને દેવભૂમિ  દ્વારકા જિલ્લામાં આપઘાતના ત્રણ બનાવ સામે આવ્યા છે. આ તમામ વ્યક્તિઓની ઉમર ૧૮ થી માંડી ૪૦ વર્ષની છે. જેમાં ખંભાલીયાના યુવાનનું એમબીબીએસનું સપનું રોળાઈ જતા, કાલાવડ પંથકમાં પતિથી માઠું લાગી જતા અને જામનગરમાં એકલવાયા જીવન અને બીમારીથી કંટાળી યુવતીએ આપઘાત કરી લેતા હાલારમાં શોક ફેલાયો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયાના અને હાલ રાજકોટમાં જામનગર રોડ પર રહેતા બે બહેનોના એક ભાઈ એવા રોનક વજસીભાઈ ગોરીયા નામના ૧૮ વર્ષના યુવાનને ધોરણ બારમાં એમબીબીએસમાં એડમીશન મળે એટલા ટકા ન આવતા સતત ડીપ્રેશનમાં રહ્યા બાદ ગઈ કાલે પોતાના ઘરે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોતાનું એમબીબીએસ કરી તબીબ બનવાનું સપનું રોળાઈ જતા યુવાને આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું  છે.

જયારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામના મનીષાબેન મુકેશભાઇ મકવાણા (ઉ.વ.37)નામના મહિલાએ ગઇકાલે પોતાના ઘરે પોતાના હાથે ઝેરી દવા પી લઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન હોસ્પિટલ ખસેડાયેલા મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ મુકેશભાઇએ પોલીસમાં નિવેદન આપ્યું હતું. જેમાં મૃતકે પોતાના માનેલા ભાઇને ત્યાં જમવા જવાનું કહેતા પતિએ ના પાડી હતી. જેને કારણે મનમાં લાગી આવતા તેણીએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું.

જયારે ત્રીજો બનાવ જામનગરમાં નોંધાયો હતો જેમાં સ્વામિનારાયણ સોસાયટીમાં ભારત વુડનની સામે પ્લોટનં.22માં રહેતા બીનાબેન ઉર્ફે ટીનાબેન અરજણભાઇ દોણાસીયા (ઉ.વ.40)નામની યુવતીએ આજે મોડી રાત્રે પોતાના હાથે દુપટ્ટા વડે ગળાફાસો ખાઇ જીવતરનો અંત આણ્યો છે. આ બનાવ અંગે વહેલી સવારે જાણ થતા તેના માતા સમજુબેનએ સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. છેલ્લા દોઢેક વર્ષથી એકલવાયુ જીવન જીવતી અને છેલ્લા ત્રણ-ચાર માસથી બિમાર રહેતી યુવતીએ કંટાળી જીવાદારો ટૂંકાવી લીધી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here