નાયરા કંપનીની ટાઉનશિપમાં સિક્યોરિટી છતાં માતબર ચોરી

0
5

જામનગર અપડેટ્સ: જામનગર-જામખંભાળિયા હાઈવે પર બેડ ગામ વિસ્તારમાં આવેલી નંદનીકેતન ટાઉનશીપમાં તસ્કરોએ બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી મોટી ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા ચોરોએ મકાનનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી તિજોરીમાંથી લાખો રૂપિયાના સોનાના દાગીના, ચાંદીની વસ્તુઓ અને રોકડ રકમ સહિત કુલ રૂ.4.58 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

પોલીસ ફરિયાદ મુજબ, નંદનીકેતન ટાઉનશીપના મકાન નંબર બી-17માં રહેતા 54 વર્ષીય નીતિનભાઈ યશવંતભાઈ દીક્ષિતે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, 18 ઓગસ્ટના બપોરે એક વાગ્યાથી 19 ઓગસ્ટના સવારે સાડા સાત વાગ્યા દરમિયાન અજાણ્યા ચોરોએ મકાનને નિશાન બનાવ્યું હતું.

ચોરોએ સૌપ્રથમ રહેણાંક મકાનના દરવાજાનો લોકવાળો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મકાનમાં રહેલા કબાટની તિજોરીનું ખાનુ ખોલી તેમાં રાખેલા સોનાના દાગીના અને રોકડ રકમ ચોરી કરી હતી. ચોરી થયેલી મત્તામાં સોનાની બે ચેન, કાનની બુટ્ટીઓ, સોનાનું લોકેટ, ત્રણ વીંટી, ગળાનો સેટ, ચાર સોનાની બંગડીઓ અને સોનાનું મંગળસૂત્ર સહિતના દાગીનાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સોનાના નાકના દાણા, ચાંદીના ઝાંઝર, ચાંદીની કટોરીઓ અને ચાંદીનો દીવો પણ ચોરાઈ ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તસ્કરોએ રોકડા રૂ.13 હજાર પણ તિજોરીમાંથી ઉઠાવી લીધા હતા. બીજા રૂમમાં રાખેલી તિજોરીને પણ નિશાન બનાવી ફરિયાદીની પુત્રીના સોનાના બુટ્ટિયા તથા સોનાનો નાકનો દાણો ચોરી લીધો હતો.

આ રીતે અજાણ્યા તસ્કરો કુલ રૂ.4,58,000ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થયા હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.

ઘટનાની જાણ થતાં સિક્કા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે અજાણ્યા ચોરો સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305(એ), 331(3), 331(4) અને 334(1) મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે તસ્કરો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here