જામનગર જમીન કૌભાંડમાં નવો વળાંક: વેજીબેનને મળ્યો ન્યાય, મામલતદારનો આદેશ હાઇકોર્ટે ફગાવ્યો

0
103

જામનગર અપડેટ્સ: જામનગર શહેરમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીનમાંથી મૂળ વારસદાર મહિલાનું નામ તેમની જાણ બહાર ખોટા સોગંદનામા ઊભા કરીને કમી કરાવી દેવાના ચકચારી પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટે સીમારૂપ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે જામનગર શહેર મામલતદારના નકારાત્મક હુકમને સંપૂર્ણપણે રદબાતલ ઠેરવીને રેવન્યુ રેકોર્ડ ગામ નમૂના નં. ૭ માં કાયદેસરની નોંધ દાખલ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.

વિગતવાર કેસની પૃષ્ઠભૂમિ

જામનગર શહેરની રેવન્યુ સર્વે નંબર ૭૮૨ તથા ૭૮૭/પૈકી ૧ વાળી કિંમતી ખેતીની જમીન મૂળ માઘવજી કાનજીની માલિકીની હતી. તેમના અવસાન બાદ આ જમીન વારસાઈ મુજબ હીરજી ઉર્ફે હીરાલાલ માઘવજીને પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ હીરાલાલ માઘવજીનું પણ અવસાન થતાં, તેમના કાયદેસરના વારસદારો—સતવારા નાનજી હીરાલાલ, સતવારા જેન્તીલાલ હીરાલાલ, સતવારા ગંગાબેન હીરાલાલ તેમજ સતવારા વેજીબેન હીરાલાલના નામે આ જમીન રેવન્યુ રેકોર્ડ પર આવી હતી.

ખોટા સોગંદનામાથી નામ કમી કરવાનો કારસો

આ જમીનમાંથી મૂળ વારસદારો પૈકી સતવારા વેજીબેન હીરાલાલની જાણ બહાર કણજારીયા પરસોતમ માઘવજી દ્વારા મામલતદાર સમક્ષ અરજી કરવામાં આવી હતી. ખોટા સોગંદનામા રજૂ કરી ગેરકાયદેસર રીતે વેજીબેનનું નામ રેવન્યુ રેકોર્ડમાંથી કમી કરાવી દેવામાં આવ્યું હતું.

દીવાની દાવો અને મામલતદારનો નનૈયો

પોતાનું નામ કમી થઈ ગયાની વિગતો સામે આવતાં જ વેજીબેન દ્વારા જામનગરના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ સમક્ષ દીવાની દાવો (રે.દી.મુ. નં. ૭૨૩/૨૦૨૫) દાખલ કરી કાયદેસરનો હિસ્સો મેળવવા દાદ માંગવામાં આવી હતી.

આ દાવાના આધારે ‘ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ’ની કલમ-૫૨ મુજબનો દસ્તાવેજ સબ-રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાવી, ગામ નમૂના નં. ૭ માં નોંધ પાડવા માટે કલેક્ટર, પ્રાંત અધિકારી તથા મામલતદાર સમક્ષ અરજી કરવામાં આવી હતી. જોકે, મામલતદારે મહેસૂલ વિભાગના પરિપત્રનો હવાલો આપી “લિઝ પેન્ડેન્સીની નોંધ રેવન્યુ રેકોર્ડમાં થઈ શકે નહીં” તેવો આધાર દર્શાવી અરજી ફગાવી દીધી હતી.

ગુજરાત હાઇકોર્ટનો સીમારૂપ આદેશ

મામલતદારના આ હુકમને પડકારતાં વેજીબેન દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. બંને પક્ષોની કાનૂની દલીલો અને દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લીધા બાદ ગુજરાત હાઇકોર્ટે મામલતદારનો હુકમ સંપૂર્ણપણે રદ કર્યો હતો.

હાઇકોર્ટે સબ-રજીસ્ટ્રાર જામનગર સમક્ષ નોંધાયેલ દસ્તાવેજ નં. ૩૩૯ મુજબ સર્વે નં. ૭૮૨ તથા ૭૮૭/પૈકી ૧ ની જમીનના રેવન્યુ રેકોર્ડ ગામ નમૂના નં. ૭ માં તાત્કાલિક નોંધ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આ કડક હુકમ બાદ રેવન્યુ ઓથોરિટીએ તુરંત જ રેકોર્ડમાં નોંધ દાખલ કરી દીધી છે.

ધારાશાસ્ત્રીઓનું પ્રતિનિધિત્વ

અરજદાર સતવારા વેજીબેન હીરાલાલ વતી ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ નિષીત પી. આચાર્ય તથા એડવોકેટ ગિરીશ આર. ગોજીયા રોકાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here