જામનગર અપડેટ્સ: જામનગર, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશભાઇ વિશ્ર્વકર્મા ગુરૂવારે જામનગરની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ પ્રદેશ કિશાન મોરચાના ઉપપ્રમુખ સુરેશભાઇ વસરાના નિવાસસ્થાન ‘ચિત્રકૂટ’ની મુલાકાત લીધી હતી અને ગૌસેવાની પ્રવૃત્તિને બિરદાવી સુરેશભાઇને અભિનંદન આપ્યા હતાં.

પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઇ વિશ્ર્વકર્મા ગુરૂવારે જામનગરની મુલાકાતે આવ્યા હતાં. પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને તેમણે પ્રદેશ કિશાન મોરચાના ઉપપ્રમુખ અને સેવાભાવી માલધારી આગેવાન સુરેશભાઇ વસરાના નિવાસ ‘ચિત્રકૂટ’ની મુલાકાત લીધી હતી.
જનસંઘના વડીલ આગેવાનો દ્વારા તેઓનું 2100 નોટબુકથી સ્વાગત કરાયું હતું. આ નોટબુકોનું ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિતરણ કરાશે.

આ મુલાકાત દરમિયાન તેમણે સુરેશભાઇ વસરા દ્વારા ચાલતી ગૌસેવાની પ્રવૃત્તિની માહિતી મેળવી હતી. અત્યાર સુધીમાં ચાર હજાર જેટલી ગાયોની વિનામુલ્યે કરવામાં આવેલી સારવાર, ખેડૂતો માટે યોજાતા માર્ગદર્શન કેમ્પ તથા ખેડૂતોને લગતા પ્રશ્ર્નોના ઉકેલના પ્રયાસ સહિતની સેવાકીય પ્રવૃત્તિથી પ્રભાવિત થઇ તેઓએ સુરેશભાઇને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતાં.
સુરેશભાઇ વસરા કોઇપણ વ્યક્તિની આર્થિક મદદ વગર પોતાના સ્વખર્ચે ગૌધન સારવાર કેન્દ્ર ચલાવી રહ્યાં છે. આ સેવાની શરૂઆત તેઓએ લાલપુરથી કરી હતી. આસપાસના અનેક ગામોના માલધારીઓ તેમની આ સેવાનો જરૂર પડ્યે લાભ લઇ રહ્યાં છે અને અત્યાર સુધીમાં ચાર હજાર ગૌવંશને આ કેન્દ્રની મેડીકલ ટીમની મદદથી નવજીવન મળ્યું છે.

પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્ર્વકર્માની સાથે પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ ઉપરાંત હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અન્ય પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્ર્વકર્મા સહિતના આગેવાનોનું સુરેશભાઇ વસરાએ સ્વાગત કર્યુું હતું. ભાજપ અને જનસંઘના અનેક સ્થાનિક આગેવાનો સાથે તેમણે વાર્તાલાપ કર્યો હતો. ઉપરાંત સુરેશભાઇ વસરા સંચાલિત ગૌધન સારવાર કેન્દ્રના હસ્તાફરતા પશુદવાખાનાનું નિરિક્ષણ કર્યું હતું.





