ભાણવડ: પરિવાર દ્વારકા દર્શને ગયો ને પાછળથી ચોરોએ ઘર સાફ કરી નાખ્યું, ૧૫ તોલા દાગીના ગાયબ

0
1

જામનગર અપડેટ્સ: ભાણવડ, દેવભૂમિ દ્વારકા:
ભાણવડ તાલુકાના જામ રોજીવાડા ગામની સીમમાં ધોળાદિવસે ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. ખેડૂત પરિવાર પોતાના ઘરને તાળું મારી દ્વારકા દર્શન કરવા ગયો હતો, તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તાળા તોડ્યા હતા અને કબાટોમાંથી ૧૫ તોલા સોનાના દાગીના, ચાંદી તેમજ રોકડ રકમ મળી કુલ રૂા. ૧૧,૧૪,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી રફુચક્કર થઈ ગયા છે. આ મામલે ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દર્શન કરવા ગયેલા પરિવારની ગેરહાજરીનો લાભ લીધો

પોલીસ દફતરે જાહેર થયેલી વિગતો મુજબ, જામ રોજીવાડા ગામની સીમમાં રહેતા ગંગદાસભાઇ માલદેભાઇ સોલંકી (ઉ.વ. ૪૬, ધંધો: ખેતીકામ) ગત તારીખ ૨૭/૦૬/૨૦૨૬ના રોજ સવારે સાતેક વાગ્યે પોતાના કુટુંબના સભ્યો સાથે દ્વારકા ખાતે દર્શન કરવા માટે ગયા હતા. દરમિયાન, દિવસના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ તેમના રહેણાંક મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
તસ્કરોએ ઘરમાં રાખેલા બંને કબાટોના તાળા તોડી તેમાંથી સોના-ચાંદીના કિંમતી દાગીના અને રોકડની ચોરી કરી હતી. રાત્રે આશરે આડા આઠેક વાગ્યે જ્યારે ગંગદાસભાઈનો પરિવાર પરત ફર્યો ત્યારે ઘરના તાળા તૂટેલા જોઈને તેમના હોશ ઊડી ગયા હતા. ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો અને કબાટમાંથી તમામ કિંમતી અવેજ ગાયબ હતો. આસપાસના વિસ્તારમાં પ્રાથમિક તપાસ કર્યા બાદ આખરે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

ચોરાયેલી મિલકતની વિગત
તસ્કરો ઘરમાંથી નીચે મુજબના મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાનું ફરિયાદમાં જાહેર કરાયું છે: સોનાના દાગીના (કુલ ૧૫ તોલા – કિંમત રૂ. ૧૦,૮૦,૦૦૦):૩ ગ્રામની બુટ્ટી, ૮.૫ ગ્રામની લેડીઝ ચેઈન, ૧૦ ગ્રામની બીજી ચેઈન, ૧૭ ગ્રામનો સેટ, ૫ ગ્રામની કાનની રીંગ, ૪૩ ગ્રામનો રજવાડી હાર, ૫૦.૪ ગ્રામનો એન્ટીક રજવાડી હાર, ૬ નંગ સોનાની વીંટીઓ તેમજ અન્ય નાની બુટ્ટીઓ અને લટકન. ચાંદીના દાગીના (વજન આશરે ૧૫૦ ગ્રામ – કિંમત રૂ. ૧૭,૦૦૦): ચાંદીના સાંકળા, બંગડી, માળા અને ચૂક. રોકડ રકમ:કબાટમાં રાખેલા રોકડા રૂા. ૧૭,૦૦૦ કુલ ચોરી: સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને કુલ રૂા. ૧૧,૧૪,૦૦૦ ની મતા ચોરાઈ છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડ્યા, તપાસનો ધમધમાટ

આ મોટી ચોરીની ઘટનાના પગલે ખંભાળીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક (DySP) મીત રૂદલાલ સાહેબ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે વિઝીટ માટે રવાના થયો હતો અને બપોરે કલાક ૧૬:૩૦ વાગ્યાથી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. આ અંગે ભાણવડ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. સાંગાભાઇ મેરામણભાઇ હુણ દ્વારા ગંગદાસભાઈની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ ૩૦૫(ક) અને ૩૩૧(૩) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસની આગળની વધુ તપાસ ભાણવડ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વી.કે. કોઠીયા ચલાવી રહ્યા છે. પોલીસે અજાણ્યા ચોર ઈસમોને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here