જામનગર અપડેટ્સ: શહેરમાં દારૂની નબળી ટેવના કારણે ઘર કંકાસ સર્જાતા અને પત્ની અલગ રહેવા ચાલી જતાં કંટાળી ગયેલા એક પ્રૌઢે ઝેરી દવા ગટગટાવી લેતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ અંગે જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં બનાવની નોંધ કરવામાં આવી છે

કરુણતાસભર બનાવની મળતી વિગતો મુજબ, જામનગરના નવીવાસ, મચ્છુમાતાજીના મંદિર સામે રહેતા અને હાલ ઈન્દિરા કોલોની શેરી નંબર-૫ (બી)માં રહેતા મંજુલાબેન ટાંકના પતિ શાંતિલાલ કાળુભાઈ ટાંક (ઉંમર વર્ષ ૪૮, જ્ઞાતિ: પ્રજાપતિ કુંભાર) દારૂ પીવાની ટેવ ધરાવતા હતા. પતિની આ કુટેવથી કંટાળીને પત્ની મંજુલાબેન તેમનાથી અલગ રહેવા જતા રહ્યા હતા.
સારવાર દરમિયાન તોડ્યો દમ
પત્ની અલગ રહેવા ચાલી જતાં શાંતિલાલ ટાંક સતત માનસિક ચિંતા અને કંટાળામાં રહેતા હતા. આ બાબતથી કંટાળી જઈને ગત તારીખ ૦૯/૦૫/૨૦૨૬ ના રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાની આસપાસ તેમણે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવાની અસર થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગત તારીખ ૧૮/૦૫/૨૦૨૬ ના રોજ બપોરે ૧૫:૩૦ વાગ્યાની આસપાસ તેમનું અવસાન થયું હતું.

આ બનાવ અંગે મૃતકના પત્ની મંજુલાબેન શાંતિલાલ ટાંક દ્વારા જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મોત (બી.એન.એસ.એસ. કલમ ૧૯૪) નંબર ૧૭/૨૦૨૬ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વાય.એન. સોઢા ચલાવી રહ્યા છે.





