જામનગર અપડેટ્સ: જામનગર જિલ્લામાં વધુ એક માર્ગ અકસ્માતમાં યુવકનું દુઃખદ મોત નીપજ્યું છે. રાજકોટ-જામનગર હાઇવે પર ધુવાવ ગામ નજીક બનેલા આ બનાવે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. વૃદ્ધને બચાવવા જતા આ બનાવ બન્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

મળતી માહિતી મુજબ, તા. 26 એપ્રિલ 2026ના રોજ મધરાતે લગભગ 12:30 વાગ્યાના સમયે જામનગરથી ધ્રોલ તરફ જતા માર્ગ પર, ધુવાવ ગામ પાસે મલંગશા પીરની દરગાહ નજીક આ અકસ્માત સર્જાયો હતો. સુનીલ બીજલભાઇ ચૌહાણ (ઉ.વ. 37), જે ચામુંડા પ્લોટ, ધ્રોલના રહેવાસી હતા, તેઓ પોતાની મોટરસાઇકલ (નં. GJ-10-EE-5347) લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન રોડ પર એક વૃદ્ધ મહિલા ચાલીને જઈ રહી હતી. તેમને બચાવવા માટે સુનીલભાઇએ બાઈક વાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ વધુ ઝડપમાં હોવાને કારણે તેઓ બાઈક પર કાબૂ રાખી શક્યા નહીં અને બાઈક સ્લિપ થઈ ગઈ. અકસ્માતમાં સુનીલભાઇને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમજ શરીરે અન્ય ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા બીજલભાઇ અરજણભાઇ ચૌહાણની ફરિયાદના આધારે પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 281, 125(એ), 125(બી), 106(1) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.





