જામનગર અપડેટ્સ: શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવના મંદિરે દર્શન કરવા ગયેલી એક મહિલાને રોકી, પૈસાની માંગણી કરી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, ગુલાબનગરની દયાનંદ સોસાયટીમાં રહેતા અને નોકરી કરતા પુજાબેન પરશોતમભાઇ પરમાર (ઉં.વ. ૩૨) ગત તારીખ ૩૦/૦૪/૨૦૨૬ના રોજ સાંજના સમયે પડોશની અન્ય બે મહિલાઓ સાથે નીલકંઠ મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા. આ સમયે ત્યાં હાજર સ્વામી સત્યાનંદ સરસ્વતી નામના શખ્સે તેઓને દર્શન કરતા રોક્યા હતા અને દર્શન કરવા માટે ₹૫૧/- ની માંગણી કરી હતી. પૂજાબેને “દર્શન કરવાના વળી પૈસા શાના?” તેમ કહી વિરોધ દર્શાવતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી શરૂ કરી હતી.

સાહેદો દ્વારા સમજાવટનો પ્રયાસ કરવામાં આવતા આરોપીએ વધુ ઉશ્કેરાઈને લોખંડના સળીયા જેવા હથિયાર વડે પૂજાબેન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદી મહિલાને જમણા હાથની હથેળી અને જમણા પગના ગોઠણના ભાગે મુંઢ ઇજાઓ પહોંચી હતી. આરોપીએ એટલેથી ન અટકીને ધમકી આપી હતી કે, “જો હવે પછી મંદિરે દર્શન કરવા આવીશ તો તને જાનથી મારી નાખીશ.” આ ઘટના અંગે પૂજાબેન પરમારે તા-૦૧/૦૫/૨૦૨૬ના રોજ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સ્વામી સત્યાનંદ સરસ્વતી વિરુદ્ધ: BNS કલમ: ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) જી.પી. એક્ટ કલમ: ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પી.એસ.આઈ. ડી.જી. રાજ ચલાવી રહ્યા છે.





