Jamnagar uodates: લોકશાહીમાં જ્યારે સમાનતાના અધિકારોની વાતો થતી હોય, ત્યારે જામનગર જિલ્લાના જામજોધપુરમાં બનેલી એક ઘટનાએ સમાજની માનસિકતા પર સવાલો ઉભા કર્યા છે. માત્ર રોજીરોટી માટે રજૂઆત કરવા ગયેલા એક અનુસૂચિત જાતિના યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.
રોજીરોટીની રજૂઆત અને જાતિવાદી માનસિકતાનો ભોગ

જામજોધપુરના ગાંધી પાર્ક વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવીંગ કરી ગુજરાન ચલાવતા ૨૭ વર્ષીય કલ્પેશભાઇ લખમણભાઇ સોલંકી પોતાની ગાડી કંપનીમાં ભાડે રાખવા બાબતે રજૂઆત કરવા સુઝલોન કંપનીના ગેસ્ટ હાઉસ ગયા હતા. ૧૧ એપ્રિલની રાત્રે જ્યારે કલ્પેશભાઈ આશા સાથે એડમિન અક્ષયભાઇ પરસોતમભાઇ જોશી પાસે પહોંચ્યા, ત્યારે તેમને સન્માનના બદલે તિરસ્કાર મળ્યો.
આરોપી અક્ષય જોશીએ ઉશ્કેરાઈને કલ્પેશભાઈને કહ્યું હતું કે, *”તારી ગાડી ચાલવા નહીં દઉં, તું હલકી જ્ઞાતિનો છે, હરિજન છે.”* એટલું જ નહીં, ત્યાં હાજર સાક્ષી સંદીપભાઈને પણ *”તેરે જેસે રબારી કી ભી ગાડી નહીં ચલેગી”* તેમ કહી જાતિગત ભેદભાવની તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી.
*શારીરિક હુમલો અને કાયદાનો ગાળિયો*
માત્ર શાબ્દિક અપમાનથી ન અટકતા, આરોપીએ કલ્પેશભાઈને છાતીના ભાગે મુક્કા મારી શારીરિક ઈજા પહોંચાડી હતી અને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. આ ઘટના બાદ ભયભીત થયેલા ફરિયાદીએ અંતે પોલીસનો આશરો લીધો છે.
જામજોધપુર પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ (BNS)ની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) તેમજ એટ્રોસીટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સંવેદનશીલ કેસની તપાસ લાલપુર વિભાગના ASP શ્રી પ્રતિભાને સોંપવામાં આવી છે.વિકસિત ભારતમાં જ્યારે ટેકનોલોજી અને પ્રગતિની વાતો થાય છે, ત્યારે જ્ઞાતિના નામે થતા આવા અત્યાચારો કલંક સમાન છે. કાયદો તેનું કામ કરશે જ, પરંતુ સામાજિક સ્તરે માનસિક પરિવર્તન અનિવાર્ય બન્યું છે.
સમાજ માટે હકારાત્મક સંદેશ: સમરસતા જ સાચી શક્તિ

કોઈ પણ વ્યક્તિ તેના જન્મ કે જ્ઞાતિથી નહીં, પણ તેના કર્મ અને માનવતાથી ઓળખાય છે. બંધારણે સૌને સમાન અધિકાર આપ્યા છે. ચાલો, આપણે જ્ઞાતિવાદના ઝેરને ત્યજીને એકબીજાના પૂરક બનીએ. જ્યારે આપણે એકબીજાનું સન્માન કરીશું, ત્યારે જ સાચા અર્થમાં એક સશક્ત અને સૌહાર્દપૂર્ણ સમાજનું નિર્માણ થશે. માણસાઈ એ જ સૌથી મોટો ધર્મ છે.





