જામનગર અપડેટ્સ : જામનગર મહાનગરપાલિકાની ચુંટણી માથે છે એવા સમયે વોર્ડ નંબર ૧૨ના બે કદાવર નેતાઓ વચ્ચેની ચાલતી દુશ્મનાવટ વચ્ચે પોલીસે જોરદાર આંચકો આપ્યો છે. જામનગરની સતત લોહીયાળ બનતી જતી ગેંગ વોરમાં પોલીસે બંને ગેંગ સામે ગુજ્સીટોકનું શાસ્ત્ર ઉગામ્વ્યું છે. હત્યા પ્રયાસ સબંધિત અલ્તાફ ખફી હાલ જેલમાં છે તો બીજી તરફ હવે અસલમ પણ જેલમાં જશે ત્યારે વોર્ડ નમ્બર બારની ચુંટણી લોહીયાળ બને તે પૂર્વે પોલીસે કાયદો વ્યવસ્થા સબંધિત મોટી કાર્યવાહી કરી છે. જેને લઈને જામનગરમાં રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ નિર્માણ પામી છે.

જામનગર મહાનગરપાલિકાના બે ભૂતપૂર્વ વિપક્ષી નેતાઓ, જે ક્યારેક કોંગ્રેસમાં એક સાથે હતા, તેમની વચ્ચેની વધતી ખટરાગ હવે ગેંગ વોર બની ગઈ હતી. તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓએ મિત્રોને દુશ્મન બનાવી દીધા છે. આ ખટરાગે ગયા મહિને એક ઉગ્ર વળાંક લીધો જ્યારે અલ્તાફ ખફીની ગેંગ દ્વારા અસલમ ખિલજી પર જીવલેણ હુમલો કરાયો હતો આ બનાવ બાદ અલ્તાફ ખફીના સબંધી પર વળતો પ્રહાર કરી અસલમની ગેંગ દ્વારા ઘાતક હુમલો કરાયો, હજુ આ બનાવ તાજો જ હતો ત્યાં અસ્લમના ભત્રીજા પર અલ્તાફની ગેંગ દ્વારા જીવલેણ હુમલો કરાયો હોવાનું જાહેર થયુ હતું ગત વર્ષે પાર્ટી ગાઇદ્લાઇનનો ભંગ કરવા સબબ અસલમને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ બંને વચ્ચેની સ્થિતિ વધુ વણસી ગઈ. અને એકબીજા પર હુમલાઓ શરુ થયા હતા. આ ગેંગ વોર તેમની વચ્ચેની આ ખટરાગ આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં ચરમસીમા પર પહોચે તે પૂર્વે પોલીસે કાર્યવાહી કરી છે. આ વખતે અસલમ ખીલજી આપ માંથી તો અલ્તાફ કોંગ્રેસમાંથી એક જ વોર્ડમાંથી ચૂંટણી લડવાના છે.
ગેંગ વોરને નાબુદ કરવા પોલીસનો’માસ્ટર સ્ટ્રોક’
આ હિંસક ગેંગ વોર જામનગરને રક્તરંજિત બનાવે તે પહેલાં, આઈજી નિર્લિપ્ત રાયે કાયદાના શસ્ત્રનો પ્રહાર કર્યો. પોલીસે અગાઉ જ બંને ગેંગના આરોપીઓને ઉઠાવી લીધા હતા. આ પછી, એક જ દિવસમાં બંને ગેંગ સામે ગુજસીટોક હેઠળ અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા. ખિલજીની ગેંગના ૧૮ અને અલ્તાફ ખફીની ગેંગના ૧૧ આરોપીઓ સામે ગુજસીટોક લગાડવામાં આવ્યું છે. સૌથી મહત્વનું એ છે કે, બંને ભૂતપૂર્વ વિપક્ષી નેતાઓને પોતપોતાની ગેંગના મુખ્યા તરીકે જ દર્શાવવામાં આવ્યા છે. અલ્તાફ હાલમાં જામનગર જેલમાં જ હત્યાના પ્રયાસના ગુનામાં બંધ છે.

નિર્લિપ્ત રાયનો સ્પષ્ટ સંદેશ: જામનગરમાં માફિયાગીરી નહીં ચલાવી લેવાય
આ કાર્યવાહી માત્ર ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવાની જ નહીં, પણ ગુનેગારોમાં પોલીસનો ડર પેદા કરવાની પણ હતી. ગયા મહિનાના અંતમાં, આઈજી નિર્લિપ્ત રાયે અસલમ ખિલજીના વિસ્તારની મુલાકાત લીધી હતી અને તેના ‘વ્હાઈટ હાઉસ’ તરીકે ઓળખાતા બાંધકામને તોડી પાડ્યું હતું. આ એક પ્રતીકાત્મક કાર્યવાહી હતી, જેનો હેતુ શહેરને સંદેશ આપવાનો હતો કે પોલીસ ગુનેગારો સામે કોઈ પણ પ્રકારની કમી નહીં રાખે. ગુજ્સીટોક સબંધિત કાર્યવાહી અંગે પોલીસ ટૂંક સમયમાં પત્રકાર પરિષદ યોજીને વધુ વિગતો જાહેર કરે તેવી શક્યતા છે.





