જામનગર: દ્વારકા યાત્રાળુઓને પાછળથી ક્રેઇન ચાલકે માર્યો ધક્કો, એક મહીલાનું મોત

0
233

જામનગર અપડેટ્સ: જામનગર જિલ્લાના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાં શનિવારે રાત્રે એક દુઃખદ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જામનગર-કાલાવડ હાઇવે રોડ પર ક્રેઇન ચાલકે પગપાળા દ્વારકા જઈ રહેલા યાત્રાળુઓને પાછળથી ટક્કર મારતા એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે, જ્યારે બીજી મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.

આ બનાવ ૨૧/૦૨/૨૦૨૬ ના રોજ રાત્રે અંદાજે ૨૨:૦૦ કલાકે જામનગર-કાલાવડ હાઇવે રોડ પર, રાજ ખોડલ હોટલથી આગળ મોટા થાવરીયા ગામના પાટીયા નજીક બન્યો હતો. ફરિયાદી વલ્લભભાઈ રામાભાઈ ખટાણા (ઉવ.૩૩), મૂળ ગઢડીયા જામ તા.જસદણ જી. રાજકોટ અને હાલ રાજકોટ ખાતે માન સરોવર આજીડેમ પાસે નિવાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદ મુજબ, તેમની માતા જેઠીબેન વા.ઓ. રામાભાઈ ખટાણા તેમજ તેમના ફુઈની દીકરી રાધાબેન વા.ઓ. ગભરૂભાઈ ખાંભલા, કમુબેન અને આરતીબેન રાજકોટથી પગપાળા દ્વારકા તરફ જવા નીકળ્યા હતા. જ્યારે તેઓ જામનગર-કાલાવડ હાઇવે પર મોટા થાવરીયા ગામના પાટીયા પાસે ચાલતા હતા, ત્યારે પાછળથી ક્રેઇન રજી. નં. CG-10-AS-3665 ના ચાલકે બેદરકારી પૂર્વક વાહન હંકારી ધક્કો માર્યો હતો. આ અકસ્માતમાં જેઠીબેનને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે રાધાબેનને ડાબા પગના ઘૂંટણથી નીચેના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ક્રેઇન ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પંચકોશી એ ડીવીજનના તપાસ અધિકારી એસ.જી. જાડેજા (એ.એસ.આઈ.) દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જામનગર નજીના કાલાવડ હાઇવે પર બનેલી આ દુર્ઘટનાએ યાત્રાળુઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. માર્ગ સલામતીના નિયમોનું પાલન અને બેદરકારીપૂર્વક વાહનચાલન સામે કડક કાર્યવાહી જરૂરી બની છે. હાલ પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે અને આરોપી ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here