
જામનગર અપડેટ્સ: તમે સોશ્યલ મીડિયા ઓપન કરો તો નકરી સોલાર લગાવવાની જાહેરાતો જ જોવા મળે, અમુક સોલાર ફીટ કરી આપતા કંપની વાળાઓ તો જાણે કરી નાખવા જ બેઠા હોય એમ કહેતા ફરે છે. સાથે સાથે જાહેરાતોમાં ‘જીરો રૂપિયા બીલ’ના ભરી ભરીને વખાણ કરવામાં આવે છે. પણ રૂપિયા લઈને પણ આવી સોલાર પેનલ લગાવતી કંપની સોલાર પેનલ ફીટ કરતી નથી. આવો જ એક કિસ્સો જામનગરમાંથી સામે આવ્યો છે. ઈંટીફાઈ નામની સોલાર પેનલ લગાવતી કંપનીએ રીક્ષા ડ્રાઈવર પાસેથી રૂપિયા ૨.૧૮ લાખની રકમ લઇ લીધા બાદ વાયદા મુજબ સવા વર્ષે પણ સોલાર પેનલ નહિ લગાવતા જે તે કંપનીના માલિક અને તેના કમર્ચારી સામે છેતરપીંડીની ફરિયાદ કરવામાં આવી છે.

હાલ સોલાર પેનલ સાથેની કીટ ફીટ કરી આપતી કંપનીઓમાં ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. દરરોજ નીતનવી સ્કીમ લઈને માર્કેટમાં આવી રહી છે. આ બજારમાં ટકી રહેવા માટે કંપનીઓ ગ્રાહકોને એનકેન પ્રકારે પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. જેમાં ગ્રાહકો પાસેથી નિયત રૂપિયા વસુલી લીધા બાદ અવનવા બહાના બનાવી આવી કંપનીઓ પૈકી અમુક પેઢીઓ મહિનાઓ અને વર્ષ બાદ પણ સોલાર પેનલ ફીટ કરતી નથી. ગ્રાહક બિચારો રોજ જે તે કંપનીના પગથીયા ઘસતો રહે છે અને કંપનીવાળાઓ આવા નિર્દોષ ગ્રાહકોને ઘઘલાવતા હોય છે. જામનગરમાં પણ આવો બનાવ બન્યો છે. જેની વિગત મુજબ શહેરના ગોકુલનગર વિસ્તારમાં મારુતિનગર શેરી નંબર બેમાં રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ કરતા અમિત ગોગનભાઈ ચુડાસમાએ ઈંટીફાઈ સોલાર પ્રાઇવેટ લી. કંપનીની ફેસબુક પર જાહેરાત જોઈને ઈન્કવાયરી કરી હતી.
ત્યારબાદ માર્ચ ૨૦૨૫માં કંપનીના કર્મચારી રાહુલભાઇ અમિતભાઈના ઘર આવેલ અને સોલાર પેનેલ માટેના રૂ.૨,૧૮,૦૦૦ રોકડા લઇ ગયા હતા. જે તે સમયે અમિતભાઈને આ રાહુલભાઇએ ૬૫ દિવસની અંદર ઇન્ટીફાઇ સોલાર પ્રા. લીમિટેડમાથી માણસો આવીને સોલાર પેનેલ નાખી આપશે તેવુ જણાવેલ, જો કે આ સમય અવધી વીતી ગયા બાદ પણ કંપની તરફથી જોઈ માણસો ઘરે નહિ આવતા અમિતભાઈએ કંપનીની ઓફિસે તપાસ કરાવી ત્યાંથી થોડા દિવસનો જવાબ મળ્યો હતો. જો કે ત્યારબાદ પણ સ્થિતિ એની એજ રહી હતી અને અમિતભાઈએ વારંવાર કંપનીના નંબર પર વાત કરવા છતાય સોલાર પેનેલનુ શોર્ટેજ છે તેવા બહાના કરી સોલાર પેનેલ ફીટ કરવાની દરકાર લેવામાં આવી ન હતી.

ઓફીસના આવા જવાબ બાદ અમિત ભાઈએ કંપનીના ડિરેક્ટર કાનાભાઇ બૈડિયાવદરા સાથે વાત કરેલ હતી. ત્યારબાદ કંપની દ્વારા એક લેટર મોકલેલ જેમા ૧૨૩ દિવસ સોલાર પેનેલ નખાવી આપશુ નહિતો તમને તમારા પુરા રૂપિયા તેમજ તમારા ઘરે ૧૨૩ દિવસ સુધીના સમયગાળામા જેટલુ લાઇટ બિલ વપરાશે તેના થતા રૂપિયા તમને ચુકવવામા આવશે એવું લખાણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ સમય અવધી પણ વીતી ગઈ અને કંપની દ્વારા સોલાર પેનલ નાખવામાં ન આવી, જેના સવાલમાં કાનાભાઈને સોલાર પેનેલ નાખવા બાબતે ફોન કરતા તેઓએ અમિતભાઈ સાથે ગેરવર્તન કરી, બોલાચાલી કરેલ અને આજદિન સુધી આ કાનાભાઈ બૈડિયાવદરા અને રાહુલભાઇએ બદદાનતથી સોલાર પેનેલ નાખી આપેલ ન હોય તેમજ રૂપિયા બદદાનતથી મેળવી લીધેલ અને રૂપિયા પરત કરતા આપતા ન હોવાથી અમિતભાઈએ સમગ્ર હકીકત અંગે સીટી સી ડીવીજન પોલીસમાં ફરિયાદ કરી હતી. જેને લઈને પોલીસે ઈંટીફાઈ કંપનીના માલિક કાનાભાઈ બૈડિયાવદરા અને કમચારી રાહુલભાઇ સામે છેતરપીંડી સબબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સોલાર પેનલ સહિતની સમગ્ર કીટ લગાવી આવતી કંપનીઓનો આડેધડ ભરોસો કરવા કરતા અને લાભામણી જાહેરાતો આપી પોતાની તરફ ખેચતી કંપનીઓ કરતા માર્કેટમાં સારું નામ ધરાવતી અને ઉચ્ચ ગુણવતા ધરાવતી સોલાર પેનલ કીટ લગાવતી કંપનીઓનો જ ભરોષો કરવો જોઈએ અને જે તે કંપનીના ગ્રાહકો સાથેની સલાહ, કંપનીના સાધનોની ગુણવતા અને કંપનીની સર્વિસ સહિતની માહિતી લઇ લીધા બાદ જ સોલાર પેનલ કીટ ફીટ કરતી કંપનીઓના ગ્રાહક બનવું જોઈએ, આવી તમામ બાબતોને સાંકળી લેતી જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જિયાન સોલાર જેવી પ્રતિષ્ઠિત કંપનીઓમાં પાસે જ સોલાર કીટનો આગ્રહ રાખવો જોઈએ






