
જામનગર અપડેટ્સ: મોટા ભાગના માણસો રૂપિયા કમાવવાની લાયમાં સોર્ટ કટ પસંદ કરતા હોય છે. આવી જ પ્રજાતિના માણસો અન્ય માણસોનું કરી નાખવા માટે જાળ બિછાવતા હોય છે, એ જાળમાં જે ફસાય તેને આર્થિક નુકસાની સિવાય કઈ મળતું નથી, છેલ્લે મામલો પોલીસ દફતર સુધી પહોચે છે અને કોર્ટ કાર્યવાહી શરુ થતી હોય છે. આવો જ એક કિસ્સો જામનગરમાંથી સામે આવ્યો છે. જેમાં એક કોન્ટ્રાકટર એકના અનેક કરવાની લાલચમાં આવી ગયા અને ઠગબાજોની સ્કીમનો ભોગ બની જતા લાખો રૂપિયા ગુમાવી દીધા છે. અમદાવાદના ચાર પાંચ સખ્સોએ આ આસામીને મોટા વળતરની લાલચ આપી આસરે ૨૪ લાખની રકમ ખંખેરી લીધી હોવાનું જાહેર થયું છે. પોલીસે અમદાવાદના સખ્સો સામે છેતરપીંડી સબબ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.
અમદાવાદના સખ્સોએ રાજ્યભરમાં જાળ બિછાવી
ટૂંકા ગાળામાં પૈસાદાર કે પૈસા કમાવવા માટે અમુક સાતીર સખ્સો અનેક લોકોને છેતરવા બજારમાં નીકળી પડે છે, એવા જ અમદાવાદ રહેતા મનોજ પટેલ રહે.અમદાવાદ મો.નં.૯૨૧૬૪૫૬૬૦૪, ૯૦૬૭૨૪૪૧૭૨, હરીશ બારૈયા રહે.અમદાવાદ મો.નં.૯૯૯૮૫૬૨૦૮૮, પુજા રાવત રહે.અમદાવાદ મો.નં.૬૩૭૬૧૪૭૮૮૪, ૬૩૫૯૧૧૧૫૭૧ અને ભવ્ય પટેલ રહે.અમદાવાદ મો.નં.૮૭૮૦૭૩૪૨૪૩, ૯૪૨૬૦૨૬૧૮૧ વાળા સખ્સોએ પૈસા કમાવવા સુયોજિત પ્લાન રચ્યો હતો. જે મુજબ રાજ્યભરમાં પોતાના પરિચિતોને જાણ કરી એકના અનેક રૂપિયા કરી આપવા માટે રોકાણની સ્કીમ લોન્ચ કરી, બે ગણું રીટર્ન આપવાની સ્કીમ તૈયારી કરી આ સખ્સોએ ‘એક્સીસવર્ડ’ કંપનીમાં રોકાણના નામે જાળ બિછાવી હતી.
જામનગરની હોટેલ વિવિધમાં સેમીનાર ગોઠવ્યો

અમદાવાદના મનોજ પટેલ, હરીશ બારૈયા, પુજા રાવત અને ભવ્ય પટેલ નામના સખ્સોએ એકના ડબલ આપવાની સ્કીમ લોન્ચ કરી જાળ બિછાવી હતી. જામનગરમાં ખાતે તા.૧૫/૯/૨૦૨૪ના રોજ હોટેલ વિવિધ ખાતે એક લાલચી સેમીનારનું આયોજન કર્યો હતું. જેમાં ૭૦ થી વધુ લોકો જોડાયા હતા. જેમાં અમદાવાદના ઠગબાજોએ તમામને સમજાવેલ કે અમારી સાથે રોકાણ કરવાથી એક વર્ષે ડબલ અને બે વર્ષે ત્રણ ગણું રીટર્ન મળશે, વૈભવી હોટેલની ચમક દમક વચ્ચે ઠગબાજોએ હાજર લોકોને આઈડી બનાવી એક સોફ્ટવેરમાં રોકાણ અંગેનો ડેમો પણ બતાવ્યો હતો.
તમે રૂપિયા આપશો અમારે ડોલરમાં કન્વર્ટ કરવા પડશે
હોટેલમાં યોજેલ સેમીનારમાં આરોપીઓએ એક્સીસવર્ડ કંપનીમાં રોકાણ કરવા લાલચ આપી હતી જે મુજબ જે તે રોકાણકાર કંપનીમાં રોકાણ કરવા ઇચ્છે તો તેઓએ પોતાના નાણા આંગણીયા મારફત મોકલવાના રહેશે એવો નિયમ બનાવાયો, જે નાણા ચારેય સખ્સોને મળે છે તે નાણાને તેઓ અમેરિકન ડોલરમાં કન્વર્ટ કરી એટલે કે ડોલરની ખરીદી કરશે એમ કહેવાયું હતું. જો કે રોકાણ માટે એક માત્ર આંગણીયા નહિ પરંતુ બેંક કે રોકડ રૂપે પણ નાણા સ્વીકારવામાં આવશે એમ તેઓએ જણાવ્યું હતું.
જામનગરના આસામીએ સમયાંતરે કર્યું લાખોનું રોકાણ

રિલાયન્સ કંપનીમાં પેટા કોન્ટ્રાકટર તરીકે કાર્યરત એવા મયુર કાન્તીભાઈ ગોહિલએ જામનગર ખાતે તા. ૧૫/૯/૨૦૨૪ના રોજ યોજેલ સેમીનારમાં ભાગ લીધો હતો. જે સ્કીમ સારી લાગતા તેઓએ તા.૨૪/૯/૨૦૨૪ના રોજ આરોપી હરેશ બારૈયાના પત્ની સ્વેતા બારીયાના બેંક એકાઉન્ટમાં રૂપિયા ૩.૯૯ લાખ જમા કરાવ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ એક આઈડી બનાવી મયુરભાઈને મોકલ્યું હતું. જેમાં રોકાણ, નફો અને નુકસાનીના આકડા બતાવવામાં આવતા હતા. ચાર લાખના રોકાણ બાદ બે’ક મહિનામાં વધુ નફો જે તે આઈડી પર દેખાતા મયુરભાઈ વધુ નાણા રોકવા માટે તૈયાર થયા હતા.
મયુરભાઈએ સપ્ટેમ્બર ૨૦૨૪થી સપ્ટેમ્બર ૨૦૨૫માં રોક્યા નાણા
અમદાવાદની એક્સીસવર્ડ નામની ઠગ કંપનીના ચારેય ઠગબાજોની જાળમાં જામનગરના મયુરભાઈ સપડાઈ ગયા, મયુરભાઈએ ચાર લાખના રોકાણ બાદ વધુ નફાની લાલચે તા. ૭/૧૦/૨૦૨૪ના રોજ આંગણિયા વાટે રૂપિયા ૨,૬૨૦૦૦, તા.૩/2/૨૦૨૫ના રોજ આંગણીયા મારફતે રૂપિયા ૮,૫૫૦૦૦ તથા તા. ૧૫/૩/૨૦૨૫ના રોજ આંગણીયા વાટે રૂપિયા ૪,૬૮૦૦૦ અને તા.૩/૪/૨૦૨૫ના રોજ વધુ એક વખત આંગણીય મારફતે રૂપિયા ૧,૪૮,૫૦૦, અને તા.૨૮/૮/૨૦૨૫ના રોજ બેંક દ્વારા રૂપિયા ૯૫૦૦૦ અને તા. ૪/૯/૨૦૨૫ના રોજ રૂપિયા ૧,૫૩,૪૦૦ની રકમ બેંકમાં જમા કરાવી હતી.
આમ કુલ ૨૩,૯૮,૭૦૦ની મૂડી મયુરભાઈએ એક વર્ષમાં જમા કરાવી હતી.
ઓનલાઈન નફો બતાવવામાં આવે પણ વિડ્રો ન થઇ શકે

મયુરભાઈએ આસરે ૨૪ લાખનું રોકાણ કર્યા બાદ કંપનીના સોફ્ટવેરમાં તેની એન્ટ્રીઓ પણ બતાવતી હતી અને આ રોકાણ બાદ મળેલ નફો પણ સો થતો હતો. તગડા રોકાણ બાદ મયુરભાઈએ જોઈતી રકમ વિડ્રો કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જે તે એકાઉન્ટમાથી બેંક ખાતામાં ટ્રાન્સફર થતી ન હતી. જેથી તેઓએ કંપનીના ઠગબાજોનો સંપર્ક કર્યો હતો પરંતુ ઠગબાજો એનકેન ઉતર આપી દેતા હતા વારેવારે કોલ કરવામાં આવતા ઠગબાજો ધમકી સુધી પહોચી ગયા અને છેવટે તો ફોન રીસીવ કરવાનું પણ બંધ કરી દીધું હતું. જેને લઈને પોતે છેતરાઈ ગયા હોવાનો ભાવ થયો હતો.
ચારેય સખ્સો સામે છેતરપીંડીની ફરિયાદ

અમદાવાદની એક્સીસવર્ડ કંપનીના ચારેય સખ્સો સામે મયુરભાઈ ગોહિલે સીટી સી ડીવીજન પોલીસમાં અરજી કરી પોતાની ફરિયાદ આપી હતી. પોલીસે ચારેય સખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા સને-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨),૫૪ મુજબ ફરિયાદ નોંધી છે. જામનગરમાં એક માત્ર મયુરભાઈ જ નહિ પણ અન્ય સખ્સો પણ ચીટર ટોળકીના જાસામાં આવી ગયા હોવાની વિગતો આધારભૂત સુત્રો પાસેથી જણાવા મળી છે. જો કે કેટલા આસામીઓને કેટલા નાણા ફસાયા છે તેની વિગતો પોલીસ તપાસમાં બહાર આવશે પોલીસે છેતરપીંડી સબબ ફરિયાદ નોંધી આરોપીઓ સુધી પહોચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.





