
જામનગર અપડેટ્સ: જામનગર નજીક હાપા રેલ્વે કોલોની નજીક રહેતા એક રેલ્વેકર્મીએ ત્રણ વ્યાજખોરોના ત્રાસથી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આ સખ્સે ત્રણેય સખ્સો પાસેથી સમયાન્તરે પાંચ લાખની રકમ ત્રીસ ટકાના વ્યાજે લીધી હતી. જે રકમ ચૂકતે કરી દેવા છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરતા રેલ્વેકર્મીએ દવા પી જીવ દેવાનો પ્રયાસ કરતા દવાખાને ખસેડાયો છે. માતા અને પુત્રની સારવાર માટે આસામીએ વ્યાજે લીધેલ પાંચ લાખની રકમ અને વ્યાજની ઉઘરાણી પેટે ત્રણેય સખ્સોએ ધમકી આપી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

જામનગરમાં હાપા વિસ્તારમાં યોગેશ્વર ધામ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઇ ચનાભાઇ પરમાર નામના ૩૭ વર્ષીય યુવાને તા. ૨૮મીના રોજ ફિનાઈલની બોટલમાંથી ઉંદર મારવાની દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દવા પીતી વખતે તેની પત્નીની નજર પડી જતા તેણીએ તાત્કાલિક ૧૦૮ને ફોન કરી પતિને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં તાત્કાલિક સારવાર બાદ પ્રકાસભાઈ બેસુધ્ધ અવસ્થામાંથી બહાર આવ્યા હતા. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ પ્રકાસભાઈએ પોલીસમાં નિવેદન આપ્યું હતું. જેમાં પાંચેક વર્ષ પૂર્વે તેઓના રેલ્વેમાં નોકરી કરતા માતા શારદાબેનની બંને કિડનીઓ ડેમેજ થતા દવાખાનાનો આકસ્મિક ખર્ચ આવ્યો હતો જેના પેટા તેઓએ ગુરુદ્વાર પાસે રહેતા મોન્ટુભાઈ પાસેથી દસ ટકાના વ્યાજદરે એક લાખ રૂપિયા અને ગાયત્રીચોકમાં રહેતા હરપાલસિંહ પાંસેથી દોઢ લાખ રૂપિયા અને જેન્તીભાઈ ભાનુસાલી પાસેથી દસ ટકાના વ્યાજદરે અઢી લાખની રકમ લીધી હતી.

પુત્રની મગજની બીમારીની સારવારનો ખર્ચ માથે આવી પડતા ત્રણેય વ્યાજખોરોને રૂપિયા ચૂકવી શકેલ નહી, જેને લઈને ત્રણેય સખ્સોએ રકમ વસુલવા માટે અવારનવાર ધમકીઓ આપી હતી. આરોપીઓએ ફરીયાદીને આપેલ વ્યાજના રૂપીયા પરત લેવા માટે ફરીયાદીને અવાર નવાર ફોન કરી રૂપીયા આપી દેવા માટે ધમકાવી હેરાન પરેશાન કરતા અને તા. ૨૮મીના રોજ આરોપી હરપાલસિંહનો ફોન આવ્યો હતો અને આજે ને આજે રૂપિયા આપી દેવા સખ્ત ધમકીઓ આપી હતી. જેથી પ્રકાસભાઈએ આરોપીઓના ત્રાસથી કંટાળી જઇ ફીનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પંચકોશી એ ડીવીજન પોલીસે ત્રણેય સખ્સો સામે નાણા ધીરધારના લાયસન્સ વગર વ્યાજે રૂપિયા આપવા અને વ્યાજના રૂપીયાની પઠાણી ઉઘરાણી કરવા સબંધિત ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.