
જામનગર અપડેટ્સ: જામનગર શહેરના સી ડીવીજન પોલીસ દફતરના ઉદ્યોગ ચોકી પોલીસ દફતરમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટ આરડી ગોહિલ અને તેના રાઈટર વતી રૂપિયા એક લાખની લાંચની રકમ લેનાર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના કોન્સ્ટેબલ રવી શર્માને રાજકોટ એસીબીની ટીમે પકડી પાડ્યો છે. પીએસઆઈ અને તેના રાઈટર હાથ લાગ્યા નથી જો કે લાંચ સ્વીકારતા પકડાયેલ એસઓજીના કોન્સ્ટેબલની ધરપકડ કરી લેવામાં આવી છે. પીએસઆઈના રાઈટર અને પીએસઆઈએ ભવિષ્યમાં ચીટીંગની આવનારી કોઈ અરજીના કામે ફરિયાદીને હેરાન નહિ કરવા-રહેમ રાહ રાખવા માટે લાંચ માગી હોવાનું સામે આવ્યું છે. એસઓજી કોન્સ્ટેબલે જ ફરિયાદી અને પીએસઆઈ તથા રાઈટર સાથે સેટિંગ કરાવી દીધું હોવાનું પણ જાહેર થયું છે.

જામનગરમાં ૨૧મીના રોજ એસીબીએ ખંભાલીયા ગેટ ચોકીના બે પોલીસકર્મીઓને લાંચ લેતા પકડી પાડ્યા બાદ વધુ એક વખત પોલીસ વિભાગમાં ગઈ કાલે સફળ ટ્રેપ કરવામાં આવી છે. સીટી સી ડીવીજન પોલીસ દફતરના ઉદ્યોગ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ આરડી ગોહિલ અને તેના રાઈટર ધમભાઈ મોરીએ ફરિયાદી પાસેથી ભવિષ્યમાં ચીટીંગના કામે કોઈ અરજી આવે તો જાણ કરવા અને હેરાન નહિ કરવા માટે રૂપિયા એક લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી અને પીએસઆઈ તથા તેના રાઈટર વચ્ચેના સમાધાનકારી વલણમાં એસઓજીના કોન્સ્ટેબલ રવિ શર્માએ મધ્યસ્થી કરી ગોઠવણ કરી આપી હતી. જો કે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીની વડી કચેરીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. જેને લઈને રાજકોટ એસીબીના પીઆઈ વિરાણીની ટીમે ગઈ કાલે રાત્રે ટ્રેપ ગોઠવી હતી. જેમાં ફરિયાદી સાથે પીએસઆઈ અને રાઈટરને વાત કરાવી લાંચની રકમ કેવી રીતે ક્યાં પહોચાડવી એમ કહેવાયું હતું. જેને લઈને એસઓજીમાં ફરજ બજાવતા પોતાના વિશ્વાસુ અને ફરિયાદી સાથે લાંચનું સેત્લ્મેન્ટ કરવી દેનાર પોલીસ કર્મી રવિ શર્માને એક લાખની રકમ આપી દેવા કહ્યું હતું.

ટેલીફોનીક વાતચીત થયા બાદ ફરિયાદીએ રવી શર્માનો સંપર્ક કરી, સમર્પણ સર્કલ નજીના પંચાયત કાફે રેસ્ટોરન્ટમાં રૂપિયા એક લાખની લાંચની રકમ આપી હતી. ત્યારે અગાઉથી જ ગોઠવણ મુજબ એસીબીની ટીમ સ્થળ પર આવી ગઈ હતી અને એસઓજીના પોલીસકર્મી રવી શર્માને આબાદ પકડી પાડ્યો હતો. જો કે પીએસઆઈઅને રાઈટર મોરી હાથ નહિ લાગતા બંને એસીબીની પકડથી દુર રહ્યા છે. એસીબીએ બંને સુધી પહોચવા કવાયત શરુ કરી છે.ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૩ના સપ્ટેમ્બર માસના ગાળામાં જોડિયા પોલીસ દફતરમાં ફરજ બજાવતા પીએસઆઈ આરડી ગોહિલ અને તેના સ્ટાફના અન્ય પોલીસકર્મીઓએ ફરજમાં બેદરકારી દાખવતા એસપી પ્રેમસુખ ડેલુંએ પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ આરડી ગોહિલની બદલી જામનગર ખાતે કરી દેવામાં આવી હતી અને તેઓને ઉદ્યોગ ચોકીની જવાબદારી સોંપવામાં આવી હતી. સુત્રોમાંથી મળતી વિગત મુજબ પીએસઆઈ ગોહિલ ગઈ કાલે કોર્ટ સબંધિત કામગીરી સબ્નાધિત અને રાઈટર પણ કોઈ કામ સબંધિત જામનગર બહાર ગયા હતા દરમિયાન પાછળથી એસીબીની ટ્રેપ થઇ હતી.