કપાતર: જનેતાની હત્યા નીપજાવતો પુત્ર, પત્ની છે ૧૨ વર્ષથી રીસામણે

0
695

પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકા મથકે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા  કપાતર પુત્રએ માતા પર લાકડાના ધોકા વડે હુમલો કરી માથાના ભાગે જીવલેણ પ્રહાર કરી હત્યા નીપજાવી દીધી છે. ગંભીર હાલતમાં જામનગર ખસેડાયેલ જનેતાનું મૃત્યુ નીપજતા કપાતર પુત્ર સામે ફિટકારની લાગણી વર્ષી રહી છે.

જે જનેતાએ પુત્રનું સર્જન કર્યું એ જ જનેતાને ક્યા ખબર હતી કે જેને જન્મ આપું છું એ જ એક દિવસ પોતાને મોતને ઘાટ ઉતારી દેશે. આ ઘટના છે પોરબંદર જીલ્લાના રાણાવાવ ગામની, જ્યાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા રાજુભાઈ ગાંગાભાઈ વાડોલીયાએ પોતાના વૃદ્ધ માતા લક્ષ્મીબેન પર બે દિવસ પૂર્વે લાકડાના ધોકાથી હુમલો કરી માથાના અને હાથપગના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી હતી. દરમિયાન તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી ગંભીર હાલતમાં જામનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

માતાએ બે દાયકા પૂર્વે આરોપી પુત્ર રાજુના લગ્ન આદીત્યાના ગામના મંજુબેન સાથે કરાવ્યા હતા. સંસારી માયાજાળમાં મંજુબેનને બે દીકરા અને બે દીકરીઓ એમ ચાર સંતાન થયા હતા. જેમાં સૌથી મોટી પુત્રી આશાના લગ્ન થઇ ગયા છે. જયારે પાયલ ઉવ ૧૭, રવિ ઉવ ૧૬ અને સૌથી નાનો પુત્ર કિશન ઉવ ૧૪ તેણીની સાથે રહે છે. ચારેય સંતાનોના જન્મ બાદ આરોપી મંજુબેનને ત્રાસ આપવા લાગતા તેણીની બાર વર્ષ પૂર્વે પોતાના પિયર આદિત્યાણા ગામે ચાલી ગઈ હતી ત્યાં માતાપિતાના ઘરની બાજુમાં રહી મજુરી કામ કરતી હતી. પુત્રના ત્રાસથી તેની માતા લક્ષ્મીબેન પણ મંજુબેનની સાથે આદિત્યાણા આવી ગયા હતા.

એકલો પુત્ર કેવી રીતે અને કેવી દશામાં જીવતો હશે ? કેવી રીતે રોટલા બનાવી ખાતો હશે ? એવી ચિંતા થતા જનેતા આદિત્યાણાથી રાણાવાવ પુત્રના ઘરે આવી ગયા હતા પરંતુ કપાતર પુત્ર આવકારવાને બદલે સમયાંતરે માતા સાથે ઝઘડા કરતો રહેતો હતો. ગત તા. ૪ના રોજ માતા પર લાકડાના ધોકાથી હુમલો કરી આરોપી પુત્ર રાજુએ ગમ્ભીર ઈજાઓ પહોચાડી હતી. દરમિયાન જનેતા લક્ષ્મીબેનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા પુત્રના હાથે માતાની હત્યા થઇ ગઈ હતી. રાણાવાવ પોલીસે રાજુની પત્નીની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવા કાર્યવાહી શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here