Nil Desperandum: જામ રાજવીઓની ટેગલાઈન, આ માત્ર ટેગ નથી પણ…

0
628

જામનગરનો જામ રાજવી પરિવાર એટલે આશરા ધર્મ માટે બલિદાન આપનારા પરિવાર,શરણે આવેલને આશરો આપી, પોતાની બહુમૂલી જિંદગીનું બલિદાન આપનાર આ રાજવી પરિવાર આ જ ગુણને લઈને વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. એ પછી ભૂચર મોરીનું યુદ્ધ હોય કે પોલેન્ડના સેંકડો બાળ રેફ્યુજી હોય કે પછી રાજ્યની પ્રજા હોય, જામ રાજવી પરિવારે આશરો આપી રક્ષણ કરી અને તેમનું જીવન પોષણ કર્યું છે. હાલ વિશ્વભરનો પ્રવાસ પૂરો કરી જામનગર પધારી રહેલ સદગુરુ જગ્ગી વાસુદેવજીને સત્કારવા માટે રાજવી પરિવાર આખરી ઓપ આપી રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા જો કોઈ ઉડી ને આંખે વળગે એવી વાત હોય તો તે તેમનો લોગો છે અને લોગા નીચે લખેલી ટેગ લાઇન છે. જે આ રાજવી પરિવારના આસરા ધર્મ અને સત્કારને ઉજાગર કરે છે.

જ્યારે જ્યારે જામનગરના રાજવી પરિવારની વાત આવે ત્યારે ત્યારે એક નામ ચોક્કસથી સામે આવી જાય છે અને તે છે ક્રિકેટર જામ રણજીતસિંહજી, જેના નામે ભારતીય ક્રિકેટરને ઇન્ટરનેશનલ ખેલાડી તરીકે પસંદગીનો રસ્તો બની રહી છે તે રણજી ટ્રોફી જેના નામે રમાય છે તે જામ રાજવી રણજીતસિંહ, દેશ અને દુનિયા નામ રોશન કરનાર રાજવી પરિવારના આ ક્રિકેટરે પોતાની પ્રસિદ્ધિ દુનિયાભરને કરાવી છે. આ રાજવી પરિવાર પોતાના આશરા ધર્મ માટે પણ એટલો જ પ્રસિદ્ધ છે જેટલો ક્રિકેટ ને લઈને છે.

ઈસ 1540માં જામનગરની સ્થાપના થયા બાદ આ રાજવી પરિવારના અનેક શાસકોએ તમામ રાજાઓએ પ્રજાનું રક્ષણ કર્યું છે. આ રક્ષણ માટે જીવની આહુતિ આપવી પડે તો પણ આ પરિવાર ક્યારેય પીછેહઠ કરી નથી એનો જીવંત દાખલો છે ભૂચર મોરીનું યુદ્ધ, આશરા ધર્મ માટે આ પરિવારે મોગલો સામેની લડાઇ લડી બલિદાનો આપ્યા છેઅને આશરા ધર્મ નીભાવ્યો છે. વાત આશરા ધર્મ ની ચાવી છે ત્યારે પોલેન્ડ દેશના નિરાશ્રિતો કેમ વિસરાય ?? બીજા વિશ્વ યુદ્ધ વખતે નિઃસહાય થયેલ પોલેન્ડના એક હજાર ઉપરાંત બાળકોને જામનગર નજીક બાલાચડી ગામે પનાહ આપી અને તેનું લાલન પાલન કર્યું છે. જામ રાજવી પરિવારના આસરાના કારણે જ આજનના પોલેન્ડનું અસ્તિત્વ છે. બાલાચડી કેમ્પમાં આશ્રય પામનાર એક બાળક યુવાન થઇ પોલેન્ડના વડાપ્રધાન બને છે અને પોતાનું દેશના વિકાસમાં જામ સાહેબે આપેલ ફાળો વિશ્વ સમક્ષ મુકે છે. ત્યારે આશરા ધર્મ માટે આ રાજવી પરિવારે અનેક કાર્યો કર્યા છે એ તેના રાજ પરિવારમાં લોગો પરથી પણ પ્રતિપાદિત થાય છે.

વર્તમાન સમયમાં માટી બચાવો માટે વિશ્વભરમાં બાઈક સાથે પ્રવાસે નીકળેલા સદગુરુ જગ્ગી વાસુદેવજી વિશ્વ યાત્રા પુરી કરી પરત ભારત આવી રહ્યા છે અને ભારતમાં પ્રવેશવા માટે તેમને જામનગર પસંદ કર્યું છે. આગામી તારીખ ૨૯મીના રોજ વાસુદેવજી જામનગર આવી પહોંચશે.

જામનગર બંદર પર તેને સત્કારવા માટે રાજવી પરિવારના જામ સાહેબ શત્રુશેલ્યજી દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સંતો મહંતો અને રાજકીય નેતાઓથી માંડી અનેક રાજવી પરિવાર સહિત નામી અનામીને આમંત્રણ આપી દેવામાં આવ્યા છે ત્યારે આમંત્રણ પત્રિકામાં ઊડીને આંખે વળગે તેવી વાત રાજવી પરિવારનો લોગો છે. આ લોગોમાં રાષ્ટ્રધ્વજ પકડીને ઊભેલા સિંહ અને ધ્વજ માં આશાપુરા લખેલ દેખાય છે તેની નીચે એક ટેગ લાઈન પણ દર્શાવવામાં આવી છે. આ ટેગલાઈનમાં Nil desperandum લખેલું જણાય છે. લેટિન ભાષાનો આ શબ્દ રાજવી પરિવારના આસરા ધર્મને ઉજાગર કરે છે. સદગુણોને નિચોડ રજૂ કરે છે

લેટિન ભાષાના આ શબ્દનો અર્થ થાય છે ‘નિરાશ ન થશે’ એટલે કે આશરે આવે કે પોતાના સામ્રાજ્યનો એક પણ નાગરિક પોતાની રાજ્યવ્યવસ્થા ક્યારેય નિરાશ નહીં થાય. આવી અદભૂત કાર્ય શૈલી સાથે રાજવી પરિવારે નવાનગર માં થી જામનગર નું સર્જન કર્યુ છે. જામનગરની પ્રજાના વિકાસ માટે રાજવી પરિવારે અનેક વિકાસ કાર્યો કર્યા છે જેનું પરિણામ આજે જામનગર ને મળી રહ્યું છે. જે તેના લોગોની ટેગ લાઇન છે તે જ તેનો ધર્મ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here