જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના નાના ખડબા ગામે એક પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. પતિને ચા બનાવવાનું કહેતા પત્ની ચા બનાવી ન હતી જેને લઈને બંને વચ્ચે ઝઘડો થયા બાદ પત્નીએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

જામનગર જીલ્લામાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ લાલપુર તાલુકા મથકથી ૨૦ કિમી દુર આવેલ નાના ખડબા ગામે રહેતા રોશનબેન હુસેનભાઈ પટ્ટા ઉવ ૪૫ નામની પરિણીતાએ ગઈ તા. ૨૧મીના રોજ મોડી રાત્રે સાડા અગ્યારેક વાગ્યે પોતાના ઘરે જંતુનાશક દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેણીને જામનગર ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે તેણીના પતી હુશેનભાઇ વલીમામદ પટ્ટાએ જાણ કરતા લાલપુર પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતકના પતીએ પોલીસમાં આપેલ નિવેદન મુજબ, મૃતક પત્નીને ચા બનાવવાનું કહેતા તેણીએ ચા બનાવવાની ના પાડી હતી. જેને લઈને બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બાબતના મનદુઃખને લઈને તેણીએ આપઘાત કરી લીધો હોવાનું જાહેર થયું છે.