જામનગર : બેંક ઓફિસરના ઘરને નિશાન બનાવી ઠંડી ઉડાવતા ચોર

0
1392

જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ન્યુ આરામ કોલોનીમાં રહેતા એક પરપ્રાંતીય પરિવારના મકાનમાં ઘુસેલ તસ્કરો રૂપિયા બે લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયાની સીટી સી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. બે દિવસ બંધ રહેલ મકાનને કોઈ જાણભેદુ સખ્સોએ નિશાન બનાવ્યું હોવાની આશકા જતાવી પોલીસે તપાસ હાથ ધરી છે.

જામનગરમાં કડકડતી ઠંડી વચ્ચે તસ્કરોએ ઠંડી ઉડાવી ન્યુ આરામ કોલોનીમાં બંધ મકાનમાં તગડું ખાતર પાડ્યું છે. આ બનાવની સીટી સી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેની વિગત મુજબ, વાડીનાર ખાતે આવેલ બેંક ઓફ ઇન્ડીયામાં ઓફિસર તરીકે ફરજ બજાવતા અને ન્યુ આરામ કોલોનીમાં બી-૪માં દિશાંત નામના મકાનમાં રહેતા અંકુશભાઈ પ્રદીપભાઈ પહાડેના તા.૧૧/૧૨/૨૦૨૧ થી તા.૧૪/૧૨/૨૦૨૧ સવાર સુધી બંધ રહેલ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આ રહેણાંક મકાનના દરવાજાનો નકુચો અને તાળા તોડી અંદર પ્રવેશી ઘરના બેડ રૂમમાં આવેલ લાકડાના કબાટ પર નજર જમાવી હતી.

કબાટમાં રાખવામાં આવેલ રૂપિયા ૨૦,૦૦૦ની કિંમતના એક તોલા વજનના બે નંગ સોનાના ચેન, રૂપિયા દશ હજારની કીમતની નાના છોકરાની હાથની આંગળીમા પહેરવાની સોનાની પાંચ નંગ વીંટીઓ, રૂપિયા ૪૦૦૦૦ની કીમતના આશરે બે તોલા વજનના બે સોનાના મંગળસુત્ર, રૂપિયા ૪૦,૦૦૦ની કીમતના બે તોલા વજનના બે નંગ સોનાના પાટલા, રૂપિયા દશ હજારની કીમતના અડધો તોલા વજનના સોનાના કાનમા પહેરવાના બે નંગ ઝુમખા, રૂપિયા દસ હજારની કિંમતના અડધો તોલો વજન ધરવતી એક નંગ સોનાની હાથમા પહેરવાની અંગુઠી, રૂપિયા વીસ હજારની કિંમતનો આશેર એક તોલા વજનની સોનાની ગળામા પહેરવાની એક માળા અને આ ઉપરાંત રૂપિયા ચાર હજારની કીમતની બે નંગ ચાંદીની નાના છોકરાની પગમા પહેરવાની ઝાંઝરી અને રૂપિયા બે હજારની કીમતની ચાંદીની નાના છોકરાની હાથમા પહેરવાની ચાર નંગ કડલીઓ અને રૂપિયા ૩૫ હજારની રોકડ સહીત રૂપિયા ૧,૯૧,૦૦૦ ના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપીયાની ચોરી કરી નાશી ગયા હતા.

નાગપુર ખાતે રહેતા સાળાનું અવશાન થતા બેંક ઓફિસર તેના પત્ની અને માતાપિતા તથા બાળકો સાથે નાગપુર ગયા હતા. મકાનને તાળા મારી પોતાની મિત્રને ચાવી આપી નાગપુર ગયા બાદ પાછળથી  બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ગઈ કાલે તેનો મિત્ર ઝાડને પાણી પાવા માટે ગયો હતો ત્યારે તાળા તૂટેલ નજરે પડતા તેઓએ નાગપુર ગયેલ મિત્રને ફોન કરી જાણ કરી હતી. જેને લઈને બેંક ઓફિસર પરત આવ્યા હતા અને સીટી સી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે સીટી સી ડીવીજનના પીએસઆઈ એસ.એમ.સીસોદીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here