જામનગર અપડેટ્સ : પતિ-પત્ની વચ્ચેના તંદુરસ્ત સંબંધ પર ભાવી પેઢીનું ભવિષ્ય નિર્માણ થાય છે. પરંતુ આ સબંધમાં ખટાસ આવે તો ભાવી પેઢીઓની જીંદગી પણ વેરણ છેરણ થઇ જાય છે. જામનગરમાં એક શિક્ષિકાની તેના જ પતિએ ક્રૂર હત્યા નીપજાવી છે. સંસાર સબંધમાં બંને વચ્ચે થયેલ ખટરાગ બાદ પતિનો પીતો જતા પત્નીની હત્યા નીપજાવવામાં આવી છે. આ બનાવ વખતે મૃતકને બચાવવા વચ્ચે પડેલ એક અન્ય શિક્ષિકાને પણ હાથના ભાગે છરી ઝીકી આરોપીએ ઈજાઓ પહોચાડી છે.
જામનગરમાં ગુલાબનગરમાં રહેતા સતવારા પરિવારનો ૧૫ વર્ષનો હર્યો ભર્યો બગીચો વેરાન બની ગયો, અહીના અંબે નિવાસમાં યમનો નિવાસ બની ગયો, ઘરના મોભી પર યમનો દૂત સવાર થઇ ગયો, વૃંદાવન સોસાયટીમાં રહેતા પ્રફુલભાઈ ભવાનભાઈ ડાભી અને તેની પત્ની નીતાબેન તેમજ પુત્રી કવિતા એમ ત્રણ સભ્યોનો પરિવાર ગત માસ સુધી કિલ્લોલ કરતો હતો. પરંતુ પતિ પ્રફુલભાઈને એવું તે ખુન્નસ ચડ્યું કે પોતાના પર યમદૂત સવાર થઇ ગયો, શિક્ષિકા તરીકે નોકરી કરતી પત્ની સોમવારે નિશાળો ખુલતા પ્રથમ દિવસે શાળાએ જવા નીકળી હતી. બીજી તરફ પતિનો પીતો ગયો અને પીછો કરી પત્ની શાળાએ પહોચે તે પૂર્વે જ રસ્તા વચ્ચે જ આંતરી લઇ છરી વડે હુમલો કરી દીધો અને જીવલેણ ઘા ઝીંકી દઈ પોતાની જ અર્ધાંગીનીની કરપીણ હત્યા નીપજાવી.
જામનગરમાં સ્વામીનારાયણનગરમાં રહેતા અને મકાન લેવેચનો વ્યવસાય કરતા રતીલાલ ધારવીયાની ત્રણ પુર્ત્રીઓ પૈકીની બીજા નંબરની પુત્રી એટલે કે મૃતક નીતાબેન, વર્ષ ૨૦૦૬માં નીતાબેનના લગ્ન અમરેલી જીલ્લાના બગસરા ખાતે રહેતા પ્રફુલ ડાભી સાથે થયા હતા, થોડો સમય બગસરા રહ્યા બાદ પ્રફુલ પણ પત્ની નીતા સાથે જામનગર આવી ગયો હતો અને ગુલાબનગરમાં વૃંદાવન સોસાયટીમાં રહેતો હતો. અહી આવી નીતાબેન પોતાની લાયકાતના આધારે જામનગર નજીકના થાવરિયા ગામે શિક્ષિકા તરીકે નોકરીએ લાગી હતી. પંદર વર્ષના સંસારમાં આ દંપતીને સંતાનમાં કવિતા રૂપી એક પુત્રી છે. લગ્ન બાદ થોડા વર્ષ સંસાર સારો ચાલ્યો. પરંતુ ત્યારબાદ પતીએ પત્ની નીતાબેનના ચરીત્ય પર શંકાઓ કરી હતી..જેને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. વારે વારેના ઝઘડાઓથી કંટાળી પખવાડિયા પૂર્વે નીતાબેન તેના પિતાના ઘરે આવી ગઈ હતી. પાછળથી પતી પ્રફૂલે પત્ની નીતાને પતાવી દઈ રસ્તો કાઢવાનો ખૌફનાક પ્લાન કરી નાખ્યો હતો.
ચારીત્ય બાબતે પતીએ કરેલી શંકાને લઈને પત્ની નીતાબેન પણ રોષે ભરાયા હતા. આ આક્ષેપને લઈને નીતાબેન પંદર દિવસ પૂર્વે પિયર ચાલ્યા આવી પતીથી અલગ રહેવા લાગ્યા…પણ ક્યાં ખબર હતી કે એ જ પતી પોતાના પ્રાણ લઇ લેશે ? શાળાઓનું વેકેશન ખુલતા જ પ્રથમ દિવસે નીતાબેન પોતાના પિતાના ઘરેથી શાળાએ જવા નીકળી હતી. પિતા પોતાના સ્કુટરમાં મહાપ્રભુજીની બેઠક સુધી મૂકી આવ્યા હતા…અહી થી અન્ય શિક્ષિકાઓ સાથે નીતાબેન શાળાએ જવા નીકળતા હતા. અગાઉના આ નિત્યક્રમની જાણ પતી પ્રફુલને હતી જ સવારમાં જ પોતાની પર યમદૂત સવાર થઇ જતા આરોપી પ્રફુલ પણ જ્યાં નીતાબેન અન્ય શિક્ષિકાઓ ઉભી હતી ત્યાં આવી પહોચ્યો…નીતાબેન કઈ સમજે તે પૂર્વે જ છરી વડે હુમલો કરી દીધો અને બે ત્રણ જીવલેણ ઘા ફટકારી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોતાની સહકર્મી શિક્ષિકા પર હુમલો થતા જ હાજર રશ્મીબેન નામના શિક્ષિકાએ નીતાબેનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આરોપી પ્રફૂલે રસ્મીબેન પર પ્રથમ હુમલો કરી ડાબા હાથના ભાગે છરી ફટકારી ઈજાઓ પહોચાડી દુર હડસેલી દીધા હતા. ત્યારબાદ પત્ની પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
પતિએ પત્નીની કરપીણ હત્યા નીપજાવી છે એવી જાણ થતા જ સીટી એ ડીવીજન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો અને મૃતકનો કબજો સંભાળી દેહને હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ હત્યાને અંજામ આપી આરોપી પ્રફુલ ઘટના સ્થળે જ ઉભો રહ્યો હતો. હાજર પતી ચહેરા પર પત્નીની હત્યાનો જરા સુધ્ધા પણ રંજ ન દેખાતો હતો. પોલીસે આ સખ્સની અટકાયત કરી લીધી હતી. આરોપીનો કોવીડ ટેસ્ટ પૂર્ણ થયે વિધિવત ધરપકડ કરવામાં આવશે.